મોરબીના સાંસદની મુલાકાત બાદ તંત્ર કામે તો લાગ્યું પરંતુ હજુ પરિસ્થિતિ જૈસે થે..

- text


વધુ એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ વોર્ડની મંજૂરી : આજે 85 બેડની મંજૂરી અપાઈ, જોકે એ તમામ બેડ પહેલાથી જ ભરાયેલા હતા 

હજુ પણ મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની અછત યથાવત

મોરબી : મોરબીમાં કોરોના મહામારીની બેકાબુ સ્થિતિ વચ્ચે આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જિલ્લા કલેકટર, ડીડીઓ અને આરોગ્ય વિભાગ સાથે તાકીદની બેઠક યોજી કોરોના પેશન્ટની સારવારમાં પડતી મુશ્કેલી નિવારવાની સાથે ટેસ્ટ વધારવાની બાબત ઉપર ભાર મુક્યો હતો અને આજથી જ ટેસ્ટની સંખ્યા વધારી 2900 સુધી કરવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગ પાસે તબીબ અને ટેક્નિકલ સ્ટાફની અછતને કારણે કોવિડ હોસ્પિટલ માટે કોઈ વધારાની વ્યવસ્થાનો છેદ ઉડી ગયો છે. દરમિયાન આજે વધુ એક ખાનગી હોસ્પિટલને કોવિડ વોર્ડની મંજૂરી સાથે કુલ 85 બેડ વધારવા મંજૂરી આપવામાં આવી છે. જો કે ઉક્ત હોસ્પિટલમાં અગાઉથી જ દર્દીઓ સારવારમાં હોય ઓક્સિજન બેડની અછત યથાવત રહી છે.

મોરબીમાં કોરોનાની ભયાવહ સ્થિતિ નિર્માણ થતા આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષાની સાથે કોરોનાના દર્દીઓને સારવારમાં મુશ્કેલી ન પડે તે માટે તાકીદની બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર, ડીડીઓ,આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના આરએમઓ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન ચાવડા, ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવાની સાથે 10 હજાર ટેસ્ટ કીટ તાત્કાલિક ફાળવવા અને દૈનિક ટેસ્ટ વધારી 3000 થી વધુ કરવા નક્કી કરાયું હતું.

વધુમાં આજની આ બેઠક દરમિયાન મોરબીમાં ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાના 55 બેડ મંજુર કરી કુલ 90 બેડની મંજૂરી આપવામાં આવી છે સાથે જ આયુષ હોસ્પિટલને પણ 30 બેડની મંજૂરી આપી કોવીડ સારવાર માટેની મંજૂરી આપવામાં આવતા મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં 100 અને ખાનગી હોસ્પિટલમાં 135 મળી કુલ 235 બેડ ઉપલબ્ધ થયા છે પરંતુ હાલમાં આ તમામ બેડ ફૂલ હોય મોરબીના કોરોના દર્દીઓને સારવાર માટેનો પ્રશ્ન આજની મિટિંગ બાદ પણ યથાવત રહ્યો છે.

- text

મોરબીમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો

મોરબીમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના લક્ષણો વાળા લોકો કોરોના ટેસ્ટ માટે ઉમટી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં ન આવતા હોવાની વ્યાપક રાવ વચ્ચે આજની સાંસદની બેઠક બાદ કોરોના ટેસ્ટની સંખ્યા 2000થી વધારી 3000 કરવા નક્કી કરાયું છે અને આજે 2900 જેટલા ટેસ્ટ કરાયા હોવાનું અને પ્રભારી સચિવની મુલાકાત બાદ કોરોના ટેસ્ટ કીટનો જથ્થો જરૂરિયાત મુજબ ફાળવવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતિરાએ જણાવ્યું હતું.

અન્ય જિલ્લામાંથી ડોક્ટરોની ટીમ બોલાવાશે

મોરબીમાં કોરોનાં દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તંત્ર પાસે તબીબો અને ટેક્નિકલ સ્ટાફની કમી હોય હવે નિવૃત તબીબો ઉપરાંત અન્ય જિલ્લામાંથી ડોક્ટરોની ટિમ બોલવવા પણ આજની બેઠકમાં નક્કી કરાયું હતું.

સેવાભાવી સંસ્થાઓ સરકાર સ્ટાફ ફાળાવશે તો કોવિડ કેર સેન્ટરો શરૂ કરશે

મોરબીમાં કોરોનાની સારવારમાં જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલનો પન્નો ટૂંકો પડતો હોય તેવી સ્થિતિ વચ્ચે હવે સેવાભાવી સંસ્થાઓ કોરોનાના પેશન્ટોની સારવાર માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા તડામાર તૈયારીમાં લાગી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અને જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગને જરૂરિયાત મુજબના ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા સાથેની તૈયારી દર્શાવી છે. પરંતુ આરોગ્ય વિભાગ પાસે આ માટે જરૂરી સ્ટાફ ના હોવાનું સામે આવ્યું છે.

- text