- text
અમદાવાદ રહેતા યુવકને શરદી, ઉધરસ અને તાવ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે અમદાવાદથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડે. કલેકટર, મામલતદાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. હાલ અહીં કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાંકાનેરના ખેરવા ગામે રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલ નામના 32 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક અમદાવાદ રહેતો હોય અહીં તે પોતાના મામાના ઘરે આવ્યો હતો. હાલ તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે.તેમનું સેમ્પલ આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવેલ હતું. જેમાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો.
આ અંગે ડે. કલેકટર એન.એમ. વસાવાએ જણાવ્યુ કે મામલતદાર અને આરોગ્ય તંત્ર ખેરવા ગામે પહોંચી ગયું છે. કોરના પોઝિટિવ યુવક અમદાવાદમાં હીટાચી કંપનીમાં એન્જીનયર તરીકે કામ કરે છે. તા.13ના રોજ તે અહીં આવ્યા હતા. શરદી, ઉધરસ અને તાવ આવતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ત્યાં જ આઇસોલેટ થયા છે. વધુમાં અત્યારે ગામને સેનેટાઇઝ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સાથે ઘરે ઘરે સર્વે કરવાની પણ કામગીરી ચાલુ કરાશે.
- text
વધુમાં તેઓએ ઉમેર્યું કે ખેરવા ગામે કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંતમાં તેઓએ અપીલ કરતા જણાવ્યું કે લોકોએ આરોગ્ય તંત્રની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. માસ્ક પહેરવું જોઈએ. જ્યા ત્યાં થુંકવુ ન જોઈએ. અને શક્ય ત્યાં સુધી કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
- text