મોરબીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના બંધ કરવો : પોલીસને ધારાસભ્ય કાંતિલાલની કડક સૂચના

સ્પાની આડમાં હનીટ્રેપના અનેક કિસ્સા વધ્યા ! સંચાલકો ખોટા ધંધા બંધ નહિ કરે તો પાસાની ચેતવણી

મોરબી : મોરબીના ધારાસભ્ય અમૃતિયા મસાજ પાર્લરના ઓઠા હેઠળ ચાલતા સ્પામાં ગોરખધંધા સામે આકરાપાણીએ થયા છે. ધારાસભ્ય અમૃતિયા કહ્યું હતું કે સ્પાની આડમાં કુટણખાના અને હનીટ્રેપ સુધીના ગોરખધંધા કરનાર સંચાલકોને આવા ગોરખધંધા તાત્કાલિક બંધ કરી દે નહિતર ગોત્યા પણ નહીં જડે અને પાસા હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપી પોલીસને તૂટી પડવા સૂચના આપી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વધુ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેઓએ મોરબીમાં સ્પાની આડમાં ગોરખધંધા ચલાવતા સંચાલકોને આડે હાથ લઈ કહ્યું હતું કે, મોરબી શહેર અને આજુબાજુમાં 90 જેટલા મસાજ પાર્લર એટલે સ્પા ધમધમે છે. એમાંથી અમુક સ્પા જ સાચા છે. બાકી બીજા ઘણા સ્પામાં મસાજના નામે ગોરખધંધા કરવામાં આવે છે. આવા ખોટા સ્પામાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને સ્પાના રૂપાળા ઓઠા હેઠળ કુટણખાના ધમધમે છે.

વધુમાં કુટણખાનામાં બિન્ધાસ્ત રીતે અનૌતિક દેહ વ્યાપારનો કાળો કારોબાર પણ ધમધોકાર ચાલે છે. જેમાં બીભત્સ વીડિયો બનાવી યુવાનોને બ્લેકમેઈલ કરીને લાખો રૂપિયા પડાવવામાં આવે છે. પહેલા શરીર સુખની સગવડો આપી પછી હનીટ્રેપમાં ફસાવવામાં આવે છે. આથી ધારાસભ્યએ આવા ગોરખધંધા કરતા તત્વોને તેમની અનૌતિક પ્રવૃત્તિઓ બંધ કરવાની કડક ચેતવણી આપી છે. તેમજ એસપીને પણ આવા ગોરખધંધા બંધ કરાવી કડક કાર્યવાહી કરવાની તેઓએ સૂચના આપી હોવાનું જણાવ્યું છે.

વધુમાં ધારાસભ્ય અમૃતિયાએ સ્પાની આડમાં આવા ગોરખધંધા કરતા સંચાલકોને કડક ચેતવણી આપી છે કે આવા ગોરખધંધા તાત્કાલિક બંધ કરી દેજો નહિતર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને મોરબીમાં કોઈપણ જાતના બે નંબરી ધંધાને ચલાવવા નહિ દેવાય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે બેનંબરી ધંધા કરતા તત્વો હજુ પણ ચેતીને સુધરી જવાની તેમને ચેતવણી આપી છે. નહિતર પોલીસ પછી કાર્યવાહી કરશે તો ગોત્યા પણ નહીં જડો. તેમજ મારે મોરબીમાં રામરાજ્ય જોઈએ છે રાવણરાજ નહિ તેવી ધારાસભ્યએ સ્પષ્ટ વાત કહી હતી. એટલું જ નહીં પણ સ્પાની આડમાં કુટણખાના બંધ કરવા માટે પોલીસને સૂચના આપી હોય પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવા પણ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.