ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું : ઈસરોએ રિલીઝ કર્યો ચંદ્રમાનો અદભુત વિડીયો

ઈસરોનું વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે

મોરબી : ઈસરોનું ચંદ્ર પરનું મિશન અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે અને ઈસરોને આશા છે કે વિક્રમ લેન્ડર આ મહિનાના અંતમાં 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3ને 22 દિવસ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતનું ત્રીજું માનવરહિત ચંદ્ર મિશન ચંદ્રયાન-3 શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું છે જેનો એક વિડીયો ઈસરો દ્વારા ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે.

ભારતના ચંદ્રયાને 5 ઓગસ્ટ, 2023એ શનિવારે સાંજના 7:15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ પ્રવેશ કર્યો છે. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્રની પ્રથમ તસવીર પણ સામે આવી ગઈ છે. આ દરમિયાન ચંદ્રની ફરતે ચક્કર લગાવી રહેલા સ્પેસક્રાફ્ટમાં લાગેલા કેમેરામાં ચંદ્રનો એક વીડિયો પણ કેદ થયો છે. વીડિયોમાં ચમકદાર ચંદ્ર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પેસક્રાફ્ટમાં લાગેલી સોલાર પેનલ પણ જોવા મળી રહી છે. ચંદ્રમાની આ પ્રથમ ઝલકને ઈસરોએ ટ્વિટર પર શેર કરી છે.

ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી અવકાશયાન પૃથ્વીની પાંચ પરિક્રમા કરીને ચંદ્ર તરફ રવાના થયું. શનિવારએ મિશન માટે મહત્વપૂર્ણ દિવસ હતો, કારણ કે ચંદ્રયાન-3એ લૂનર ઓર્બિટ ઇન્સર્શન પૂર્ણ કર્યું હતું. હવે ચંદ્રયાન અવકાશયાનને ચંદ્રની ચાર પરિક્રમા કરવાનું છે અને તે પછી જ્યારે તે સપાટીની નજીક પહોંચશે ત્યારે તે ઉતરવાની તૈયારી પણ કરશે.નોંધનીય છે કે ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કરવાનો છે. આ પછી રોવર લેન્ડરમાંથી બહાર આવશે જે ચંદ્રની સપાટી પર ફરવા જઈ રહ્યું છે. તેને ચંદ્રની ખરબચડી સપાટી પર ચલાવવામાં આવશે. મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર જ અનેક પ્રયોગો કરવામાં આવશે.