ઝૂલતા પુલ કેસમાં અંતે જયસુખ પટેલ આરોપી, 10 વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ

- text


મોરબી કોર્ટમાં જયસુખ પટેલ સહીત 10 આરોપીઓ વિરુદ્ધ 1262 પાનાનું ચાર્જશીટ રજુ કરાયું

મોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અંતે ઝૂલતા પુલનો સારસંભાળનો કોન્ટ્રાકટ રાખનાર અજંતા ઓરેવા ગ્રુપના કર્તાહર્તા જયસુખ પટેલને આરોપી બનાવાયા છે, આજે મોરબી નામદાર કોર્ટમાં રજૂ થયેલ ચાર્જશીટમાં તપાસનીશ અધિકારી દ્વારા 1262 પાનાનું ચાર્જશીટ રજુ કરી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ તોહમતનામું ફરમાવામાં આવ્યું છે.

30 ઓક્ટોબરની ગોઝારી સાંજે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા નાના બાળકો, મોટેરાઓ સહીત કુલ 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા મોરબી જ નહીં સમગ્ર ગુજરાત સહીત વિશ્વભરમાં હાહાકાર મચી જતા સ્થાનિક પોલીસ દ્વારા ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મનેજર, ટિકિટ ક્લાર્ક, સિક્યુરિટી, ઝૂલતા પુલ મરામતનો કોંન્ટ્રાકટ રાખનાર પિતા-પુત્ર સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તત્કાલ ધરપકડ કરી હતી પરંતુ મોરબી નગરપાલિકા અને અજંતા ઓરેવા વચ્ચે થયેલા કરારમાં સહી કરનાર અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો ન હતો.

- text

બીજી તરફ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર આ દુર્ઘટનામાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી તપાસમાં ઢીલ, મોરબી પાલિકાની બેદરકારી સહિતની બાબતો ઉજાગર કરતા અંતે આ ચકચારી કેસમાં અજંતા-ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને લુક આઉટ નોટિસ ઈશ્યુ થઇ હતી અને 90 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનું હોય આજરોજ તપાસનીશ અધિકારી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરવામાં આવતા આજે જયસુખ પટેલ સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304, 308, 336,338 અને 114 મુજબ 1262 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

 

- text