રાજ્યમાં આગામી દિવસોમાં તબક્કાવાર 900 CNG સ્ટેશન્સ શરૂ કરાશે : મુખ્યમંત્રી

- text


 CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ વિધિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સંપન્ન

 

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા CNGની વાહનચાલકોને સરળતાએ CNG ઉપલબ્ધિની નવતર પહેલ કરી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યમાં CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અર્પણ કર્યા હતા.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત આ ઇ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજ્યમાં CNG અને PNGનો વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યુ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પડકારોને ઝિલી લઇને તેની સામે ઝિરો ટોલરન્સ સાથે આપણે પર્યાવરણ સુરક્ષાના સંતુલન અને વિકાસની ગતિ જારી રાખવી છે. ગુજરાતે CNG વાહનોનો વધુ ઉપયોગ થાય અને પ્રદૂષણ અટકે તે માટે પેટ્રોલ-ડિઝલના ઇંધણ વિકલ્પરૂપે CNGને પ્રોત્સાહન આપવાની પહેલ કરીને રાજ્યમાં CNG સ્ટેશનોનો વ્યાપ વિસ્તાર્યો છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ વિજયભાઇ રૂપાણીએ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ર૩ વર્ષમાં ૫૪૨ CNG સ્ટેશન હતા તેની સામે પાછલા બે જ વર્ષમાં ૩૮૪ CNG સ્ટેશન્સ આપણે કાર્યરત કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, CNG સહભાગી યોજના શરૂ કરી ત્યારે ૩૦૦ CNG સ્ટેશન શરૂ કરવાના લક્ષ્યાંક સામે આજે લક્ષ્યાંકથી પણ વધુ એટલે ૩૮૪ સ્ટેશન્સ રાજ્યમાં થયા છે. સમગ્ર દેશમાં ર૩૦૦ CNG ફિલીંગ સ્ટેશન્સ સામે એકલા ગુજરાતમાં ૬૯૦ એટલે કે કુલ CNG સ્ટેશનના ૩૦ ટકા CNG સ્ટેશન્સ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં વધુને વધુ CNG સ્ટેશન્સ શરૂ કરીને કયાંય કોઇ વાહનધારકને CNG માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું જ ન પડે તેવી સ્થિતીનું આપણે નિર્માણ કરવું છે.

- text

મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં રાજ્યભરમાં ૯૦૦ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક તબક્કાવાર પાર પાડવાની પણ નેમ વ્યકત કરી હતી. તેમણે ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિ.ને આ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને કેપેસિટી બિલ્ડીંગ માટે આયોજન ઘડી કાઢવા પણ સૂચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ આગામી દિવાળીના તહેવારોના ઉપલક્ષ્યમાં રાજ્યના CNG વાહનધારકોને સરળતાથી CNG ગેસ મળી રહે તેવી અપેક્ષા સાથોસાથ આ નવા CNG ફિલીંગ સ્ટેશન્સ સંચાલકોને પણ સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ આપી હતી.

વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, પર્યાવરણ સુરક્ષા સાથે વિકાસની ગતિ આપણે કોરોના સંક્રમણ કાળમાં પણ જાળવી રાખી છે. ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામો થયા છે. એટલું જ નહિ, ગિરનાર રોપ-વે, સી-પ્લેન, હજીરા-ઘોઘા રો પેક્ષ સેવાઓ, ડિઝીટલ સેવા સેતુ, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવી જનહિત યોજનાઓથી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની પણ દિશા લીધી છે.

ઊર્જાના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે CNG સહભાગી યોજનાની વિસ્તૃત રૂપરેખા સ્વાગત પ્રવચનમાં આપી હતી. આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, GSPCના એમ.ડી. સંજીવકુમાર તેમજ ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ લિ.ના વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી સહભાગી થયા હતા.  મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને લેટર ઓફ ઇન્ટેટ અર્પણ કર્યા હતા. GSPCના એમ.ડી. સંજીવકુમારે સૌનો આભાર વ્યકત કર્યો હતો.

- text