- text
યુવક અને યુવતી બન્નેના બે-બે સંતાનો હતા : આગલી રાત્રે બન્ને લાપતા બન્યા બાદ એક સાથે જીવન ટૂંકાવ્યું
મોરબી : હળવદ તાલુકામાં આવેલ રણછોડગઢ ગામે આજે પરિણીત પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઈને આગળની તપાસ શરૂ કરી હતી. નાના એવા ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આજે પરિણીત પ્રેમી પંખીડાએ પહેલા કોઇ ઝેરી પદાર્થ પીધા બાદ ગામની સીમમાં સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની ગામના લોકોને જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવતી અને યુવકનું નામ રીનાબેન રાજુભાઈ કીડીયા ઉ.વ.27 અને અશોક દિલીપ દધૈયા ઉ.વ.22 છે. બન્ને એક જ ગામના છે.હાલ તો હળવદ પોલીસે બન્નેના મૃતદેહો પીએમ અર્થે ખસેડીને બન્નેના આપઘાત કરવા પાછળનું સચોટ કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- text
તપાસ અધિકારી એ.એમ.જાફડીયાએ બનાવ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે યુવક અને યુવતી બન્ને પરિણીત હતા. બન્નેને બે -બે સંતાનો હતા. યુવતીના લગ્ન 8 વર્ષ પૂર્વે આમરણ કરવામાં આવ્યા હતા. તે છેલ્લા 5 મહિનાથી રણછોડગઢ ગામે રિસામણે આવેલ હતી. આ દરમિયાન ગઈકાલે યુવક અને યુવતી બન્ને પોત પોતાના ઘરેથી લાપતા બન્યા હતા. જેથી તેમના પરિવારોએ તેમની શોધખોળ આદરી હતી. અંતે તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યાં બન્નેના આપઘાતની ઘટના અંગે પરિવારજનોને જાણ થઈ ગઈ હતી.
- text