કોઈ અગવડતા નથીને ? રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ મોટી બરાર આશ્રયસ્થાનની મુલાકાત લીધી

- text


સ્થળાંતર માટે વધુમાં વધુ લોકોના રહેવા જમવાની સુવિધા સાથેનો એસેમ્બલી પોઈન્ટ બનાવવા માટે રાજ્યમંત્રીનું સુચન  

મોરબી : બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ આફત સામે લડવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમીક્ષા કરી રહ્યા સાથે જ આજરોજ તેમણે મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરિત થયેલ લોકો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું મૂલ્યાંકન કરી લોકોને કોઈ અગવડતા તો નથી પડતી ને તેવી પૃચ્છા પણ કરી હતી.

મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાનની મુલાકાત દરમિયાન મંત્રી કનુભાઈ દેસાઈએ આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલ લોકો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને જરૂરી બાબતો અંગે જિલ્લાના અધિકારીઓને સૂચના આપી હતી. આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલા લોકો સાથે મંત્રીશ્રીએ વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.આ લોકો સાથે વાતચીત કરતા મંત્રીશ્રીએ તેઓ ક્યાંના છે, શું કામગીરી કરે છે, અહીં આશ્રયસ્થાન ખાતે તેમને શું-શું સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેમને કોઈ તકલીફ નથી તે બાબતે પણ મંત્રીશ્રીએ તેમની સાથે વાતચીત કરી ખાતરી કરી હતી.

આ ઉપરાંત રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયેલ વિવિધ વ્યવસ્થાઓ જેવી કે, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સની ટીમ, દવાઓ વગેરેનું મંત્રીશ્રીએ વિશ્લેષણ કરી ત્યાંના મેડિકલ ઓફિસર નિરાલી ભાટિયા તેમજ અન્ય સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

આ તકે તેમને જણાવ્યું હતું કે, એવી સગર્ભા બહેનો કે, જેમની સંભવિત 1 થી 10 દિવસની અંદર ડિલિવરી થાય એમ હોય તેવા બહેનોને આઈડેન્ટીફાઈ કરવા આસપાસના 1 થી 10 કિલોમીટરના દાયરામાં આવેલ ગામોનો સર્વે કરી તેવા બહેનોને સમજાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી મેડિકલ સુવિધાઓ સાથે રાખવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી હોવાનું જણાવી સ્થળાંતર માટે એક એસેમ્બલી પોઈન્ટ બનાવવા જણાવ્યું હતું કે, જ્યાં વધુમાં વધુ લોકોના રહેવા જમવાની સુવિધા સાથે સ્થળાંતર કરી શકાય.ઉલ્લેખનિય છે કે, સરવડ રેપીડ રિસ્પોન્સ સેન્ટર ખાતે આરોગ્ય પી.જી.વી.સી.એલ., સિંચાઈ આર & બી સહિત વિભાગના 8 અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓ સ્થળ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.

આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કવિતા દવે, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, માળિયા મામલતદાર બી.જે. પંડ્યા, અગ્રણી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text