ખાનગી કંપનીઓના પાપે ગુજરાતની પ્રજાને મોંઘી વીજળીના ડામ

- text


આમ આદમી પાર્ટી વીજળી દર મુદ્દે મેદાને

મોરબી : રાજયની પ્રજાને સસ્તા દરે વીજળી મળે તે માટે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. આજે આપ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી ખાનગી કંપનીઓના પાપે પ્રજાને મોંઘી વીજળી મળી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
.
ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી પુરી પાડવાની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે, ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું.

વધુમાં ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે. પ્રથમ તો, ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007માં 25 વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવો નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા. એને કારણે જ છે થોડાક જ વખતમાં ગ્રાહકો વિજબીલના ભારણમાં દબાઈ ગયા છે.

આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.80 રૂપિયા હતો,
જુલાઈ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.90 રૂપિયા થયો,
ઓક્ટોબર 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.00 રૂપિયા થયો,
જાન્યુઆરી 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.10 રૂપિયા થયો,
માર્ચ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.20 રૂપિયા થયો,
એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો, આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

- text

બીજું, ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બઝારમાંથી ખુબ ઊંચા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.

આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અંતમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની માગણી છે કે,
ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનું નિવારણ થઇ શકે તેવી માંગ ઉઠાવી હતી.

- text