વરિયાળીના ભાવમાં ગાબડાં પડતા હળવદ યાર્ડમાં ખેડૂતો વિફર્યા

- text


ખેડૂતોની ધમાલને પગલે તમામ જણસોની હરરાજી અટકી પડી : સમજાવટ બાદ વરિયાળી સિવાયની હરરાજી શરૂ

હળવદ : ઓણસાલ મોરબી જિલ્લામાં ખેતીનો ગઢ ગણાતા હળવદ પંથકમાં વરિયાળીનું મબલખ વાવેતર થયું છે ત્યારે આજે હળવદ યાર્ડમાં વરિયાળીના ભાવમાં પ્રતિ એક મણે રૂપિયા 100થી વધુનું ગાબડું પડતા ખેડૂતો રોષે ભરાયા હતા અને હરરાજી અટકાવી દેતા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દોડતા થયા હતા અને ખેડૂતોની સમજાવટ બાદ મામલો થાળે પાડી વરિયાળી સિવાયની હરરાજી પુનઃ શરૂ કરાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ નર્મદા કેનાલને કારણે લીલી નાઘેરમાં ફેરવાયેલ હળવદ પંથકમાં ઓણસાલ ખેડૂતોએ મોટાપ્રમાણમાં વરિયાળીનું વાવેતર કર્યું છે અને સારી ક્વોલિટીની વરિયાળી ઉત્પન્ન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ હળવદ યાર્ડમાં દરરોજ 15હજારથી 17 હજાર બોરી વરિયાળી ઠાલવવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને પ્રતિમણ વરિયાળીના રૂપિયા 1800થી 2100 જેટલા ભાવ મળી રહ્યા હતા.

દરમિયાન આજે સવારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરરાજી શરૂ થતા જ વરિયાળીના ભાવમાં રૂપિયા 100ના ગાબડાં સાથે 1800ના ભાવે બોલી બોલવામાં આવતા પસીનો પાડી વરિયાળીની ખેતી કરતા ખેડૂતો રોષે ભરાયા હતા અને તમામ જણસોની હરરાજી અટકાવી દેતા હળવદ યાર્ડના સેક્રટરી સહિતના આગેવાનો દોડતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે વરિયાળીનું મુખ્ય પીઠ્ઠુ ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં સારી ક્વોલિટીની વરિયાળી રૂપિયા 1900થી 3900ના ભાવે વેચાઈ રહી છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શોષણ સમાન નીચાભાવે વરિયાળી પડાવી લેવામાં આવતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો. જોકે આજે હળવદ યાર્ડમાં વરિયાળીની હરરાજી અટકાવી દેવામાં આવી છે અને આવતીકાલે ફરી હરરાજી શરૂ કરાશે તેવું યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું.

- text

- text