- text
ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો
મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક માત્ર કાર્યક્રમ તા. 10 માર્ચને રવિવારના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વરસના તમામ બાળકોના વાલીઓને આ અભિયાનમાં જોડાઈને પોલિયોને દેશવટો આપવા અનુરોધ કરાયો છે.
મોરબી જિલ્લામાં નોંધાયેલા હોય એવા પાંચ વરસની ઉંમરના આશરે 132544 બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે મોરબી જિલ્લામાં કુલ 571 પોલિયો બુથ ઉભા કરવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્યને પહોંચી વળવા જિલ્લાના કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર્સ તથા મદદનીશ બહેનો મળીને કુલ 2346 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ ઉપર દેખરેખ અને સંકલન માટે 169 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે.
રવિવારે પોલિયો ટીપા પીવડાવવાથી બાકી રહી ગયેલા બાળકો માટે તા 11 તેમજ 12 માર્ચના બે દિવસો દરમ્યાન 1173 ટિમ દ્વારા ઘેર ઘેર ફરીને ટીપા પીવડાવવામાં આવશે. જ્યારે અંતરિયાળ તેમજ છેવાડાના દુર્ગમ વિસ્તારો માટે 325 મોબાઈલ ટિમો દ્વારા અભિયાનને પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવવામાં આવી છે. તદુપરાંત આ સમય દરમિયાન જે પરિવારો બાળકો સાથે મુસાફરી કરતા હશે એ બાળકો પણ પલ્સ પોલિયો ટીપા પીવાથી વંચિત ન રહી જાય તે માટે 20 ટ્રાન્ઝિટ ટીમોની ખાસ રચના કરવામાં આવી છે.
- text
મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ કતીરાએ સરકારની પોલિયો સામેની લડાઈ અસરકારક સાબિત થાય અને પાંચ વરસ સુધીનું એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવાથી વંચિત ના રહી જાય તે માટે જાગરૂકતા દાખવવા લોકોને અપીલ કરી છે. તેમજ વધુ વિગતો માટે આરોગ્ય કાર્યકર અથવા આશા બહેનોને મળવા જણાવ્યું છે.
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text