ટંકારા તાલુકાના સજ્જનપરના બાલુબાપાએ જીવતું જગતિયું કર્યું 

- text


મોરબીના મધુબન ગ્રીન્સ ખાતે બન્ને દિકરીઓ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ઊર્મિલાબેન રમેશભાઈ કાલરીયાએ પોતાના પિતાનો યોજ્યો આત્મ સમર્પણનો પ્રસંગ : દેહદાનનો સંકલ્પ

મોરબી : માનવજીવનમાં બાળકના જન્મથી લઈ મૃત્યુ પર્યન્ત ગર્ભધાન સંસ્કારથી લઈ લગ્નપ્રસંગ, શ્રીમત વિધિ, ગોત્રીજ વિધિ,રાંદલ ઉત્સવ જેવા અનેક પારિવારિક પ્રસંગો યોજતા હોય છે,પણ જીવનમાં એક એવો પ્રસંગ આવે છે કે જેમાં જે વ્યક્તિનો પ્રસંગ હોય છે એ પ્રસંગમાં એજ વ્યક્તિની ગેરહાજરી હોય છે,એ પ્રસંગ એટલે માણસની અંતિમવિધિ અંતિમયાત્રા અંતિમ સંસ્કાર, એટલે આ અંતિમ સંસ્કાર પોતાની હયાતીમાં જ ઉજવાય એ માટે ઘણા લોકો જીવતું જગતિયું કરતા હોય છે, આવી જ ઉદાત્ત ભાવનાથી ટંકારાના સજ્જનપરના બાલુભાઈ મોહનભાઇ અંદરપાએ રંગેચંગે જીવતા જગતિયું કરી દેહદાનનો સંકલ્પ કર્યો હતો.

મૂળ હરિપરના પણ હાલ ટંકારાના સજ્જનપર હડમતીયા ખાતે નિવાસ કરતા બાલુભાઈ મોહનભાઈ અંદરપા કે જેમને જીવનમાં અનેક ઝંઝાવાતો અનેક કષ્ટો વેઠી,ખુબજ સંઘર્ષમય જીવન વિતાવી 85 વર્ષની ઉંમર થતા પિતાની ઈચ્છાને માન આપી પુત્રી ચંદ્રિકાબેન ચંન્દ્રકાંતભાઈ પટેલ અને ઊર્મિલાબેન રમેશભાઈ કાલરીયાએ પોતાના પિતાશ્રીનો વાજતે ગાજતે ઢોલના નાદ અને સામૈયા સાથે આત્મ સમર્પણ એટલે કે જીવતા જગતિયું કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો.આ જીવતા જગતિયામાં બાલુભાઈ અંદરપાએ પરિવારના તમામ સગા સ્નેહીઓ,મિત્રો બહેનના,મામા,માસી, ભાઈઓ વેવાઈ પક્ષના પરિવારજનોની ઉપસ્થિતમાં મૃત્યુ પછી પણ પોતાનું શરીર લોકોને કામ આવે એ માટે દેહદાનનો સંકલ્પ કરી સંકલ્પ પત્ર ભર્યું હતું અને દીકરીઓ ભાણેજોને દાન આપ્યું હતું.

બાલુભાઈએ એમના ધર્મપત્ની છેલ્લા પાંચ વર્ષથી પથારીવશ હોય ખુબજ સાર સંભાળ રાખી હતી, સાથે જ માતા-પિતાનું મોટી દિકરી ચંદ્રિકાબેનના પરિવારે ખુબજ ધ્યાન રાખ્યું ,ખુબજ સેવા કરી છે, સમરતબેનનું એપ્રિલ-23 માં અવસાન થયું હોય એમની સ્મૃતિમાં મધુબન સોસાયટીમાં લોકોને બેસવા માટે 25 બાકડાઓ બનાવી આપવા માટે ધનરાશી અર્પણ કરી હતી,આ પ્રસંગે સૌ સગા વ્હાલાઓ સ્નેહીજનોએ બાલુબાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ અનોખા સામાજિક પ્રસંગે જિલ્લા કલેક્ટ જી.ટી.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન બાલુભાઈના જમાઈ અને પૂર્વ કલેકટરે સી.જે.પટેલ કર્યું હતું. કાર્યક્રમનું પ્રસંગોચિત સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- text

- text