જડીયો વસે જંગલમાં ! શ્રાવણ માસના પ્રારંભે જડેશ્વર મહાદેવનો અનેરો ઇતિહાસ 

- text


પવિત્ર શ્રાવણ માસમાં વાંકાનેર નજીક ડુંગર ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોના ઘોડાપુર ઉમટશે 

જડેશ્વર મહાદેવને સ્વયંભૂ કેમ પ્રગટ થવું પડ્યું આ પ્રશ્ન માનવ કલ્પનાની બહાર રહ્યો છે.ભગવાન કૈલાસપતિ સાક્ષાત બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિભાગમાં આજે હજારો વર્ષોથી બિરાજમાન છે એ શાસ્ત્ર સિદ્ધ સ્વીકારેલી હકીકત છે.આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે. લૂંટના ઇરાદે ધર્મવિરોધીઓએ સાત વખત મંદિર પર હુમલો કરી સોમનાથ મંદિર અને મૂર્તિને ખંડિત કરી હતી. જેથી કૈલાસપતિ ભગવાનની મૂળ જ્યોતિ કૈલાસમાં ચાલી ગઈ હતી. તેથી સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું બન્યું હતું. ત્યાર બાદ પાંચસો વર્ષ પછી શ્રી જડેશ્વર મહાદેવની સ્વયંભૂ જ્યોતિર્લિંગ પ્રગટ થઇ હતી.

વાંકાનેર તાલુકામાં આવેલા જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના પરાક્રમી રાજા નરેશ શ્રી જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે.તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ સંક્ષિપ્તમાં દ્રષ્ટિપાત કરીએ તો જામ રાવળનો જન્મ કરછ દેશમાં કેરા ગામે રામનવમીના દિવસે થયો હતો. તેમને નાનપણથી જ કાયમ માથું દુખ્યા કરતું હતું. તેના માટે અનેક વૈધો હકીમો અને ઈલાજો કરાવ્યા પરંતુ બધું નિરર્થક નિવડ્યુ. સમય જતા જામનગરની ગાદી સંભાળી રાજા બન્યા. રાજાને માથાના દુઃખાવા નાં ઈલાજ માટે રાજ્ય ની પ્રજાજનોએ રાજાને જાણ કરી હતી કે,ધ્રોલનાં ત્રિકાળદર્શી વિદ્વાન બ્રાહ્મણ પંજુ ભટ્ટજી વિશે જણાવ્યું. રાજાએ પોતાના મહેલમાં પંજુ ભટ્ટને બોલાવી માથું દુખવા માટેનું કારણ પૂછતાં ભટ્ટજીએ જણાવ્યું હતુંકે, પૂર્વ જનમમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા. તે જ ગામમાં એક વૃદ્ધ સોની રહેતો હતો. જેની ગાયો ભગવાન ભરવાડ ચરાવતો હતો. ગામના લોકો તેને ભગો કહેતા હતા. સોનીની કેટલીક ગાયો પુસ્કળ દૂધ આપતી હતી. પરંતુ થોડા દિવસથી ગાયો દૂધ જ નહોતી આપતી. જેથી ભરવાડ અને સોની એક દિવસ ગાય પાછળ ગયા અને જોયું તો ગાય ટેકરા પર ચડી એક ખાડામાં ઉભી રહીને દૂધની ધારા વહાવતી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ ખોદાણ કરતા મહાદેવનું બાણ દેખાયું. ત્યારબાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે આવતા હતા. સોની હંમેશા ભગા ભરવાડને કહેતાકે,આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. કોઈ પણ કમળની પૂજા શ્રદ્ધા ભાવથી કરે તો તે જરૂર આવતા જન્મમાં રાજા બને છે.

આ વાત સાંભળી ભરવાડે મનોમન મહાદેવની પૂજા કમળથી કરવાનો નિશ્ચય કર્યો. અને 20 વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને પૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખ્યું. તેનું માથું મહાદેવને અથડાયને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું.મહાદેવ ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થઈ બીજા જન્મમાં રાજા બનાવ્યા. પરંતુ અરણીનું ઝાડ ખોપરીમાંથી ઉગ્યું હોવાથી પવનથી હલે છે, જેમ જેમ અરણીનું ઝાડ હલે તેમ જામરાવળને માથામાં દુખાવો થયા કરે છે. જેથી રાજાને અરણીને કાપવા કહ્યું હતું. ત્યાર બાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતા. તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિતે દર મહિને નિયત રૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મોકલે છે.

- text

ત્યારબાદ પેશ્વા સરદાર વિઠોબાને રક્તપિત્તનો રોગ થતા જડેશ્વરની આસ્થાથી મટી જવાથી તેમણે હાલનું જડેશ્વરનું વિ.સં. 1869માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. તે સમયમાં જડેશ્વર મહાદેવ રતન ટેકરી નામે જાણીતું હતું.જેમ જેમ જડેશ્વર મહાદેવની જાણ થતી ગઈ તેમ તેમ ભક્તો આવવા લાગ્યા હતા. આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. લોકો જડેશ્વર મહાદેવની ટેકરીને એક હિલ સ્ટેશન માને છે. જેથી અહીં દર્શન સાથે ફરવા માટે લોકોની ભીડ હંમેશા રહે છે. અહીં શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગોત્સવ હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એક દ્વારથી બીજા દ્વાર સુધીની શોભાયાત્રામાં અસંખ્ય લોકો ભક્તિભાવથી જોડાય છે. અને તે જ દિવસે શિવ ભક્તો દ્વારા દર વર્ષે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળાની શરૂઆત બાદ સૌરાષ્ટ્રના અન્ય મેળાઓ અને તહેવારની શરૂઆત થાય છે, જેમાં દૂર દૂરથી લોકો જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે.

વાકાનેર તેમજ આસપાસના શ્રધ્ધાળુઓ જડેશ્વર મહાદેવને રીઝવવા પગપાળા ચાલીને દશઁન કરવા જાય છે તો ભારતભરના દશઁનાથીઁઓનો શ્રાવણમાસ દરમ્યાન અવિરત પ્રવાહ વહેતો રહે છે. લોકો જડેશ્વર મહાદેવ સાથે અખૂટ શ્રદ્ધાથી જોડાયેલા છે લોકોનું માનવું છે કે સાચા અંતઃકરણથી જડેશ્વર મહાદેવના દર્શન કરવાથી જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છેજડેશ્વર મહાદેવના મંદિર જગ વિખ્યાત છે અને અહી વર્ષ દરમ્યાન હજારો શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે મંદિર પરિસરમાં યજ્ઞ , હોમ, રુદ્રી , વગેરે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે હમણાં જ મંદિરના શિખર પર ધવજાજી માટે સ્તંભ ઊભો કરવામાં આવેલ છે. વાંકાનેર સહિતના શ્રધ્ધાળુઓ વર્ષ દરમ્યાન દર સોમવારે નિયમિત પૂજા અર્ચના કરી મહાદેવને પ્રસન્ન કરવા પગપાળા જે વાહન દ્વારા દર્શને જાય છે.

શ્રાવણ માસ દરમિયાન રોજ ત્રણ આરતી કરવામાં આવે છે જેમાં સવારે ચાર વાગ્યે પ્રાતઃ આરતી બપોરે બાર વાગ્યે મધ્યાહન આરતી તથા સાંજે સાડા સાત વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવે છે. રોજ રુદ્રી તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે સાથે ભૂદેવો માટે ભંડારો તેમજ તમામ દર્શનાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમ મંદિર પ્રસાશન દ્વારા જણાવાયું હતું.

- text