- text
વાંકાનેરથી ખાતર લઇ પરત જતી વખતે બનાવ બન્યો : યુવાને રાજકોટમાં દમ તોડયો
વાંકાનેર : વાંકાનેર શહેરમાં જકાતનાકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારી દેતાં આણંદપર ગામના બે મિત્રોને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં જ્યાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આણંદપર રહેતો અને ખેત મજૂરી કરતો વિક્રમભાઇ સવજીભાઇ રાણેવાડીયા, ઉ.30 નામનો યુવાન ગત સાંજે બાઇકમાં મિત્ર સુરેશભાઇ કરમશીભાઇ રાણેવાડીયાને બેસાડી વાંકાનેર ખાતર લેવા ગયો હતો. બાદમાં પરત આણંદપર જતી વખતે રસ્તામાં ટ્રકે બાઇકને ઉલાળતાં બંને ફંગોળાઇ જતાં ઇજાઓ પહોંચતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જ્યાં વિક્રમભાઇનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે.
- text
- text