દસ્તાવેજ નોંધણી માટેની ફ્રેન્કીંગ પદ્ધતિની મુદત 2 વર્ષ લંબાવાય

- text


હવેથી એક ડોક્યુમેન્ટ ઉપર ફક્ત રૂ.10 હજાર સુધીની મર્યાદામાં જ ફ્રેન્કીંગ કરી આપવાની છૂટ

મોરબી : દસ્તાવેજ નોંધણી માટે ફ્રેન્કીંગ પદ્ધતિ રદ કર્યા બાદ સરકારે નિર્ણય પરત ખેંચી તેનો સમય વધાર્યો છે. હવે 31 માર્ચ 2025 સુધી ફ્રેન્કીંગ મશીન પદ્ધતિ ચાલુ રાખવામાં આવશે. ત્યાં સુધી એક ડોક્યુમેન્ટ ઉપર ફક્ત રૂ.10 હજાર સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની છૂટ આપવામાં આવી છે.

સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિ તા. 30 જૂન 2023થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં તા. 1 એપ્રિલ 2023 પછી પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો.

- text

ત્યારબાદ વિવિધ બેંક એસોસીયેશનો દ્વારા જાહેર જનતાની સુવિધા માટે ફ્રેંકિંગ પધ્ધતિ ચાલુ રાખવા રજુઆત કરવામાં આવેલ. જે અન્વયે ફ્રેકિંગ મશીન પધ્ધતિ ચાલુ રાખવા બાબતે સરકાર દ્વારા નીતિવિષયક નિર્ણય લઈને જાહેર જનતાની સગવડતા સુવિધા માટે તા. 31 માર્ચ 2025 સુધી ફ્રેન્કીંગ મશીન પધ્ધતી ચાલુ રાખવા તેમજ હાલના ફ્રેન્કીંગ પરવાનેદારોને ફ્રેન્કીંગ મશીનમાં પ્રિપેઈડ બેલેન્સ લોડ કરી આપવાની મંજૂરી આપવામાં આવેલ છે.

તેમજ ફ્રેન્કીંગ પરવાનેદારોને એક ડોક્યુમેન્ટ ઉપર ફક્ત રૂ.10 હજાર સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી આપવામાં આવેલ છે અને સદર શરતનો અમલ તા. 15 એપ્રિલથી કરવાનો રહેશે. એટલે કે તા. 14 એપ્રિલના રાત્રીના 12 વાગ્યા પછી રૂ. 10 હજારથી વધુ રકમનું ફ્રેન્કીંગ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહિ. તેમ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણીસર નિરીક્ષકની યાદીમાં જણાવાયું છે.

- text