મોરબીમાં શોભાયાત્રા રૂટ ઉપર દીવાલ તૂટી : એકને ઇજા 

- text


મોરબી જિલ્લા પોલીસવડાની ચેતવણી બાદ પણ જાડી ચામડીના નગરપાલિકા તંત્રેએ ગંભીરતા ન સમજતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી 

મોરબી : મોરબી શહેરના જુના વિસ્તારમાં વર્ષ 2001ના ભૂકંપ બાદના જર્જરિત બાંધકામો પ્રજાજનો ઉપર મોત બનીને લટકી રહ્યા છે તેવા સમયે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસવડા દ્વારા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન જર્જરિત બાંધકામો મુદ્દે પાલિકા તંત્રને ગંભીર ટકોર કરી હતી પરંતુ પાલિકાના જાડી ચામડીના તંત્રે આ ગંભીર ટકોરને હળવાશથી લેતા આજે રથયાત્રા દરમિયાન જ એક બંધ દુકાનની દીવાલ ધસી પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જો કે આ ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.

માત્રને માત્ર મલાઈ મળે તેવા કામોમાં જ રચ્યા પચ્યા રહેતા મોરબી નગરપાલિકાના સત્તાધીશોને પ્રજાહિતની જરા પણ પડી ન હોવાનો કિસ્સો આજે સામે આવ્યો છે. પરંપરાગત રીતે યોજાતી મચ્છુ માતાજીની શોભાયાત્રા દરમિયાન આજે નહેરુ ગેઈટથી થોડે દૂર જર્જરિત બંધ દુકાનની દીવાલ, પીલોર તૂટી પડતા શોભાયાત્રામાં જોડાયેલ ભાવિકને ઈજાઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે મચ્છુમાતાજીની શોભાયાત્રા પૂર્વે શોભાયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી પાલિકા તંત્રને રથયાત્રા રૂટ ઉપરના જર્જરિત બાંધકામો મામલે ગંભીર ટકોર પણ કરી હતી આમ છતાં નિંભર તંત્ર દ્વારા આગમચેતીના કોઈ જ પગલાં ન લેવાતા જર્જરિત દીવાલ, પિલર તૂટી પડવાથી એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

- text

- text