આજે વિશ્વ ક્ષય દિવસ : મોરબીમાં દર વર્ષે 1000 ટીબીના નવા દર્દી

- text


મોરબી : જર્મન વૈજ્ઞાનીક ડો. રોબર્ટ કોકે દુનીયાને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ 24મી માર્ચ, 1882ના રોજ કરાવી અને એટલા માટે દર વર્ષ 24મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો દર વર્ષે આ દિવસે કાર્યકમ અંતર્ગત જાગૃતિ માટે રેલી, સહિતના કાર્યક્રમો થાય છે પરંતુ હાલ કોરોના સંક્રમણને ધ્યાને રાખી ટીબીમુક્ત થયેલા દર્દીઓ પાસે નવા દર્દીઓને માહીતી પૂરી પાડશે. જેના થકી અનોખી રીતે નવા દર્દીઓને જાણકારી મળશે.

ટીબી રોગ એ માઈકો બેક્ટેરીયમ ટ્યુબરક્લોસીસ નામના બેકટેરીયાથી થતો અંત્યત ચેપી રોગ છે. જ્યારે ટીબીનો દર્દી ખાંસી કરે કે છીંક ખાય છે તો તેના શરીરમાં રહેલા ટીબીના અસંખ્ય બેકટેરીયા હવામાં તરતા મુકાય છે. આ બેકટેરીયા જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં લેવાયા બાદ જ્યારે એ સ્વસ્થ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે ત્યારે આ બેક્ટેરીયા ચોક્કસ અસર ઉપજાવે છે.

જેમાનું સૌથી સામાન્ય લક્ષણ છે બે અઠવાડીયા કે તેથી વધુ સમયથી ખાંસી આવવી, છાતીમાં દુ:ખાવો થવો, ગળફામાં લોહી આવવું, સાંજના સમયે શરીરનું તાપમાન વધવું (તાવ) અને કારણ વગર સતત વજન ઘટવું તેમજ ભુખ ના લાગવી. આ ક્ષય રોગના લક્ષણો છે. આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના સરકારી દવાખાનામાં મોકલવા જોઈએ.

જ્યાં ક્ષય રોગના નિદાન માટે દર્દીના ગળફાની તપાસ વિના મુલ્યે સરકારી દવાખાનાની લેબોરેટરીમાં માઈક્રોસ્કોપ તથા એક્સ્-રે ધ્વારા કરવામાં આવે છે. તેમજ CBNAAT (કાટ્રીડીજ બેઈઝ ન્યુક્લીક એસીડ એમ્પ્લીફીકેશન ટેકનોલોજી) દ્વારા પણ ટીબીની તપાસ તથા ડ્રગ રેઝીસ્ટન્સ પણ અત્રેના જીલ્લા કક્ષાએથી તપાસવામા આવે છે. જેમાં ફક્ત 2 કલાકમાં દર્દીનું રીઝલ્ટ મળી જાય છે.

- text

જો ક્ષય રોગ જણાય તો તેની સારવાર પણ સરકારી દવાખાનામાં વિનામુલ્યે ડોટ્સ પધ્ધતિથી સામાન્ય ટીબીની 6 મહીના સુધી કરવામાં આવે છે.રીવાઈઝડ થયેલ ગાઈડલાઈન મુજબ હવે ડેઈલી રેજીમેન (ફિક્સ ડ્રગ કોમ્બીનેશન) રોજબરોજાની આપવામાં આવે છે. જો અધુરી સારવાર લેવામાં આવે તો હઠીલો ટીબી થઈ શકે છે. હઠીલા ટીબીની દવાનો સમયગાળો 24 થી 27 મહીના હોય છે. ટીબી સામાન્ય રીતે ગીચ વિસ્તારમાં અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેમ કે HIV તથા ડાયાબીટીશ જેવા જીવલેણ રોગો સાથે જોવા મળે છે.

ભારત દેશમાં દરરોજ 40 હજારથી વધુ લોકોને ક્ષય રોગનો ચેપ લાગે છે. આમ દર વર્ષે લગભગ 20 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે અને દરરોજ 600 કરતા વધારે દર્દીઓનું મ્રુત્યુ ટીબીના કારણે થાય છે. આમ, દર અઢાર સેકન્ડે ટીબીના 1 દર્દીનું મ્રુત્યુ થાય છે. ટીબીનો ચેપ લાગવાનું પ્રમાણ 15થી 44 વર્ષના લોકોમાં સૌથી વધારે જોવા મળે છે.

મોરબી જિલ્લામાં ટીબીના દર્દીઓની માહિતી

મોરબી જીલ્લામાં દર વર્ષે લગભગ ૧૦૦૦ જેટલા ટીબીના દર્દી શોધાય છે. જેમાંથી લગભગ ૮૭% જેટલા દર્દીઓ સાજા થાય છે. વર્ષ 2020મા મોરબી જીલ્લામા જીલ્લા ક્ષય કેન્દ્ર – મોરબી તથા જિલ્લાના તમામ DMC ખાતે કુલ ૧૨૪૭૯ ‌ટીબીના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ક્ષય રોગ જણાય તેવા કુલ ૬૨૧ દર્દી પબ્લીક તેમજ ૪૪૧ પ્રાઈવેટના આમ કુલ ૧૦૬૨ દર્દીઓ શોધાયા હતા અને જિલ્લામાં કુલ ૧૧૬૬ દર્દીઓ સારવાર હેઠળ મુકાયા હતા.

મોરબી જીલ્લામાં એચ.આઈ.વી તથા ડાયાબીટીશની તપાસ દરેક પ્રા.આ.કે, સા.આ.કે તથા સિવીલ હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે કરવામાં આવે છે. તેમજ આ પ્રકારના દર્દીઓનું મોનીટરીગ કરી જો ક્ષય રોગ લાગુ પડ્યો હોય તો તેની સારવાર કરવામાં આવે છે.

- text