મોરબીમાં કોરોનાના દર્દીઓ ક્યાં ક્યાં ગયા હતા તેની વિગતો મોબાઈલ લોકેશનના આધારે મેળવાશે

- text


કલેકટર કચેરી ખાતે ખાસ વોરરૂમ કરાયો શરૂ : જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણને ઘટાડવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત : દર્દીની તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેને ઘટાડવામાં માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં કોરોનાનો દર્દી કયા કયા ગયો હતો તેની રજેરજની વિગતો જાણવા માટે કલેકટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર રૂમમાં દર્દીના મોબાઈલ લોકેશનને આધારે સમગ્ર વિગતો મેળવવામાં આવશે.

કોરોનાગ્રસ્ત દર્દીની તમામ વિગતો મેળવ્યા બાદ તે સ્થળે ધનવંતરી રથ ફેરવીને સર્વે પણ કરવામાં આવે છે. ઘનવંતરી રથ ફરીને આવ્યા બાદ કેટલા લોકોના આરોગ્યની ચકાસણી કરી અને આ લોકોના તમામ દર્દો અંગે જાણકારી મેળવવામાં આવે છે.તેમજ સર્વે કરાયેલા લોકોને ભોજન, આરોગ્ય પ્રદ આહાર, ગરમ પાણી પીવું, ઉકાળાનું સેવન, નિયમિત ઊંઘ, દવા લેવી અને શરદી, ઉધરસ, તાવ વગેરે 15 સવાલો ફોન કરીને પૂછવામાં આવે છે.

મોરબી જિલ્લામાં એક લાખથી વધુ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ થઈ છે.જેમાં 40 હજારની આસપાસ એક્ટિવ છે.તેમના આરોગ્યની પણ માહિતી એકત્ર કરવામાં આવે છે.અને કોટ્રોલ રૂમના નંબર ઉપર પણ લોકો કોઈપણ સમસ્યા વિશે યોગ્ય માહિતી મેળવે છે. તેમજ કોરોનાથી મોતના કિસ્સાની યોગ્ય તપાસ કરવામાં આવે છે. મોરબી જિલ્લા પ્રભારી તેમજ ઉપરી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને મોરબી જિલ્લામાં કોરોના ઉપર કાબુ મેળવવાના સઘન પ્રયાસો થઈ રહ્યાનું મોરબીના અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું છે.

- text

હેલ્લો.. કલેકટર કચેરીમાંથી બોલું છું, દવા પીધી કે નહીં? તાવ નથી આવતોને હવે?

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક હોમ આઇસોલેશનમાં રહેતા લોકો તેમજ કોરોનામાંથી સાજા થયેલા લોકોની સ્વાસ્થ્ય તેમજ દિનચર્યાની દરરોજ ફોન ઉપર જાણકારી મેળવવામાં આવે છે. દરરોજ 300થી વધુ લોકોને કોલ કરીને તેમની પાસેથી તેઓ દવા પીવે છે કે કેમ , તાવ- શરદી રહે છે કે નહીં તે સહિતની માહિતી મેળવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. આમ સારવાર લઈ રહેલા અને સાજા થઈ ગયેલા દર્દીઓની તબિયતના ખબર અંતર પૂછવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.

- text