- text
મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-૨૦૨૦ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૩/૦૧/૨૦૨૦ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો આગામી ૧૦મી જાન્યુઆરી સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.
તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો કે રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી-મંત્રીશ્રીને સંબોધીને પહોંચતી કરવાની રહેશે.
અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો કે કોર્ટમાં ચાલતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન ધ્યાને લેવાશે નહી. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબધીત મામલતદારને અરજી કરવાની રહેશે.
- text
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, ગુજરાત વિઘુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, નગરપાલીકાના પ્રશ્નો સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર કેતન જોષી દ્વારા જણાવાયું છે.
- text