રાજકોટ કલેકટર કચેરીમાં તોડફોડ મામલે વાંકાનેરના ધારાસભ્ય સહિતનાને એક વર્ષની સજા

- text


11 વર્ષ જુના કેસમાં જાવિદ પીરઝાદા, ઈન્દ્રનીલ રાજયગુરુ, અશોક ડાંગર, દેવજી ફતેપરા, ગોવિંદ રાણપરીયા સહિત 12ને દોષિત ઠેરવતી કોર્ટ : 179માંથી બાકીના 160 આગેવાનો – કાર્યકરો નિર્દોષ જાહેર

વાંકાનેર : રાજકોટની કલેકટર ઓફિસમાં તોડફોડના 11 વર્ષ જુના કેસમાં અદાલતે આજે વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પિરઝાદા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ, દેવજી ફતેપરા, ગોવિંદ રાણપરીયા, અશોક ડાંગર સહિત 10 કોંગ્રેસી આગેવાનોને દોષીત જાહેર કર્યા છે અને એક એક વર્ષની કેદની સજા ફટકારી છે. ઉપરાંત પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ચુકાદા વખતે ગેરહાજર ધારાસભ્ય પીરઝાદા વગેરે ત્રણ આરોપીને બે દિવસમાં હાજર થવાની સુચના આપવામાં આવી છે. જો કે આ કેસમાં સજા સામે આગેવાનો અપીલ જામીન કરે તેવા નિર્દેશ છે.

2008માં તત્કાલીન કોંગી ધારાસભ્ય કુંવરજી બાવળીયાની જમીન કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના આગેવાનો કલેકટર કચેરીએ આવેદન આપવા માટે ગયા હતા અને તે સમયે મામલો બીચકતા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકોના ટોળા સામે આઈપીસી કલમ 143, 147, 149, 186, 188 તથા પબ્લીક પ્રોપર્ટીના નુકશાન કરવાની કલમ 3-7 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતાં આજે અદાલતે 12 રાજકીય આગેવાનોને તકસીરવાન ઠરાવ્યા છે. આઈપીસી કલમ 143, 147, 149 તથા રાયોટીંગના ગુનામાં તકસીરવાન ઠરાવવામાં આવ્યા છે. આ આગેવાનોમાં દેવજીભાઈ ફતેપરા, જશવંતસિંહ ભટ્ટી, ઈન્દ્રનીલ રાજયગુરૂ, મહેશ રાજપુત, અશોક ડાંગર, ગોવિંદભાઈ રાણપરીયા, ભીખુભાઈ વારોતરીયા, મહંમદ જાવીદ પીરજાદા, ગોરધનભાઈ ધામેલીયાનો સમાવેશ થાય છે.

આજે ચુકાદા વખતે ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા હાજર ન હતા. એટલે અદાલતે તેમને સાંજ સુધીમાં હાજર થવાનો હુકમ કર્યો છે. ચાર્જસીટમાં દિવંગત સાંસદ વિઠલભાઈ રાદડીયા તથા પોપટભાઈ ઝીંજરીયાના પણ નામો હતા. અદાલતે આ તમામ આગેવાનોને એક એક વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ફટકાર્યો છે.

- text

11 વર્ષ પૂર્વેના આ કેસમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય અને હાલ ભાજપ સરકારમાં પ્રધાન કુંવરજી બાવળીયાની સીઆઈડી ક્રાઈમ દ્વારા જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. 4-12-2008ના રોજ કોંગ્રેસના તત્કાલીન આગેવાનો કલેકટરને રજૂઆત કરવા ગયા હતા. બાવળીયાની ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાનું જણાવીને આવેદન આપવાનો કાર્યક્રમ હતો. તે દરમ્યાન ટોળુ ઉશ્કેરાયુ હતું અને કલેકટર કચેરીમાં તોડફોડ કરી હતી. આ કેસમાં પ્ર.નગર પોલીસે ઉકત આગેવાનો સહિત 179 કાર્યકરો સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ 11 વર્ષ ચાલ્યો હતો તેમાં કુલ 56માંથી 49 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં 8 પંચ, 12 સરકારી અધિકારી, 33 પોલીસ કર્મચારી સામેલ હતા.

- text