મોરબીના કેરાળી ગામે કૌટુંબિક ભાઈએ જીવતર ઝેર કરતા યુવતીનો આપઘાત : પોલીસ પર ગંભીર આક્ષેપ

- text


યુવતીના લગ્ન બાદ કૌટુંબિક ભાઈએ અપહરણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી : જામીન ઉપર છૂટી ધમકી આપતા યુવતીએ ઝેર ગટગટાવ્યું

આરોપીઓ ઝડપાઇ નહિ અને તપાસનીશ અધિકારી સસ્પેન્ડ નહિ થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

રાજકોટ : મોરબીના કેરાળી ગામમાં લગ્ન બાદ પણ યુવતીને પજવતા કૌટુંબિક ભાઈ દ્વારા અપહરણ કરાતા યુવતીનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું અને આમ છતાં યુવતીનો અને તેના પરિવારનો પીછો નહિ છોડનાર આરોપીએ જામીન ઉપર છૂટી જાનથી મારી નાખવાની ધમકી આપતા કૌટુંબિક ભાઈના ત્રાસથી કંટાળેલી યુવતીએ ઝેર પી મોતને વ્હાલું કરી લીધું હતું, બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોએ જ્યાં સુધી જવાબદાર આરોપીઓ પકડાય નહિ અને અપહરણની તપાસમાં નાણાં લેનાર મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા અધિકારીને સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇનકાર કરતા ચકચાર જાગી છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળી ગામે બેએક માસ પૂર્વે ચેતનાબેન કરશનભાઇ મકવાણા નામની પરણિત યુવતીનું કૌટુંબિક ભાઈ અશોક દેવસી મકવાણા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને આ ઘટનાને પગલે ચેતનાબેનના છુટાછેડા થઈ ગયા હતા, જો કે ચેતનાબેનના અપહરણ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.

- text

બીજી તરફ અપહરણની ઘટના બાદ જેલમાં ધકેલાયેલ અશોક દેવસી મકવાણા જામીન ઉપર મુક્ત થતાની સાથે જ લખણ ઝળકાવી ફરી યુવતી અને તેમના પરિવારજનોને પોલીસે મારુ શુ બગાડી લીધું કહી હોવી તો જાનથી બધાને મારી જ નાખીશ તેવી ધમકી આપતા આજે ચેતનાબેને પોતાના ઘેર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ બનાવના પગલે ચેતનાબેનને પ્રથમ મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ મોરબી હોસ્પિટલ સતાવાળાઓએ સારવાર આપવાને બદલે રાજકોટ ધકેલી દીધા હોવાનું અને આ ઘટનામાં એમએલસી કેસ લઈ પોલીસને જાણ પણ ન કર્યાની યુવતીના ભાઈએ ફરિયાદ કરી છે.

દરમિયાન ગંભીર હાલતમાં મોરબીથી ચેતનાબેનને રાજકોટ સિવિલમાં લાવતી વેળાએ તેમને દમ તોડી દેતા પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને હાલ તમામ પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે એકત્રિત થયા છે.

ઉલ્લેખનીય છે કે મૃતક ચેતનાબેને આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી છે જેમાં આપઘાત માટે આરોપી અશોક અને તેના સગાંવહાલાંઓના નામ લખવા ઉપરાંત પોલીસની ભૂંડી ભૂમિકા અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

જો કે, હાલતુર્ત તો મૃતક ચેતનાબેનના પરિવારજનો દ્વારા તમામ આરોપીઓની ધરપકડ અને અપહરણ કેસના જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ ન કરાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇનકાર કરી દેતા આ આપઘાત પ્રકરણ ગંભીર બન્યું હોવાનું જણાય રહ્યું છે.

- text