મોરબી : નાનીવાવડી શાળાના શિક્ષકને મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ એનાયત

- text


મોરબી : દર વર્ષે કથાકાર મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ આપવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે મોરબીના નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાને મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મોરારીબાપુ દ્વારા ‘ચિત્રકૂટધામ’- તલગાજરડા, ભાવનગર ખાતે દર વર્ષે શિક્ષણમાં નાવીન્ય અને વિશેષ કામગીરી કરતા શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડથી નવાજવામાં આવે છે. જેમાં ચાલું વર્ષે ગુજરાતના કુલ ૩૫ શિક્ષકોનો એવોર્ડ વિતરણ સન્માન કાર્યક્રમ ‘ચિત્રકૂટધામ’- તલગાજરડા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષણમાં ઇનોવેટીવ અને વિશિષ્ટ કામગીરી કરનાર અશોકભાઈ મહાદેવભાઈ કાંજીયાની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં તેમને મોરારીબાપુના વરદહસ્તે પ્રશસ્તિપત્ર, રામનામની સાલ, સુત્રમાલા, સચિત્ર સુંદરકાંડ અને 25000 રૂપિયાનો ચેક તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીના ખાખરાળાના વતની અને હાલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ મહાદેવભાઈ કાંજીયાએ પોતાની શાળામાં કરેલા વિવિધ ઈનોવેશન જિલ્લા કક્ષાએ રજુ કરેલા છે. આ ઉપરાંત બાળકો મોબાઈલ દ્વારા જ પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે વિવિધ પ્રકારની ઓનલાઈન કસોટી બનાવવામાં આવે છે. વિદ્યાવાહક તરીકે GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ જે બદલ ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા બે વખત સન્માન કરવામાં આવેલ. ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકે વિવિધ શાળામાં મુલ્યાંકન કાર્ય પણ કરેલ છે, તેમજ શિક્ષક તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર તરીકે કામ કરેલ છે. તેમના આચાર્ય તરીકેના કાર્યકાળમાં શાળાને સ્વચ્છ શાળા તેમજ વોટર ફેસીલીટી એવોર્ડ પણ મળેલ છે તેમજ ‘ગામનું બાળક ગામમા જ ભણે’ એ સુત્રને સાર્થક કરવા માટે વેકેશનના સમયગાળામાં ડોર ટુ ડોર વાલી મુલાકાત કરી 76 બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત પુલવાહા હુમલામાં શહીદ પરીવાર માટે ગામમાં મૌન રેલી દ્વારા ફાળો એકત્રિત કરવો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, વાલી મિટીંગ, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હોળી-ધુળેટી, જન્માષ્ટમી, નવરાત્રી, રક્ષાબંધન, શિક્ષક દિન, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિન વિશેષ વિડિયો, શાળા નિર્માણ અને ભૌતિક સુવિધા વધારવા માટે લોક સહકાર મેળવી શાળામાં ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ વિવિધ ધાર્મિક કાર્યો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. જેમાં તેઓ છેલ્લા 9 વર્ષથી બાળકોના સહકારથી ‘પક્ષી બચાવો અભિયાન’ પણ ચલાવી રહ્યા છે. તેમના આવા વિવિધ કાર્યો માટે ચિત્રકુટ એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમને મોરબી તાલુકા અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ મેળવેલ છે. આ સન્માન મળતા અશોકભાઈને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે. તેમને જણાવ્યું હતું કે આ એવોર્ડ માતા-પિતાના આશીર્વાદ, શાળા પરિવાર અને વાલીઓનો સહયોગ તથા શાળાના બાળદેવોને આભારી છે.

- text

આ કાર્યક્રમમાં અધેવાડા આશ્રમના મહંત સીતારામબાપુ, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મહુવાના ધારાસભ્ય, ભાવનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી, રાજ્ય શિક્ષકસંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, રાજ્ય અને વિવિધ જિલ્લા સંઘના હોદેદારો, એવોર્ડી શિક્ષક પરિવાર અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી સન્માન કાર્યક્રમની શોભા વધારી હતી.

- text