- text
ભરતભાઈએ 38 વર્ષથી વધુ સમય બાળકોને શિક્ષણના અને જીવનના પણ પાઠ ભણાવ્યા : નવા શિક્ષકોનું સ્વાગત અભિવાદન પણ કરાયું
મોરબી : વર્ષો સુધી શાળામાં બાળકોને શિક્ષણના તેમજ જીવનના પાઠ ભણાવનાર એવા ખરા અર્થના માસ્તર ભરતભાઈ કોરડીયા શિક્ષક તરીકે 38 વર્ષથી પણ વધારે સમય ફરજ બજાવી વય નિવૃત્તિના કારણે જાન્યુઆરી-2024 માં નિવૃત થતા હતા પણ છ માસ વહેલા સ્વૈચ્છીક નિવૃત્ત થતા માધાપરવાડી કુમાર શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.
આ સાથે આ શાળામાં બદલી પામીને આવેલ કલ્પનાબેન બરાસરા, અનિલભાઈ સરસાવડીયા તેમજ સુભાષભાઈ ખાંભરા તાલુકા શાળા નંબર:- 1 ના આચાર્ય તરીકે બદલીને આવતા એમનું પણ આવકાર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદીપભાઈ લોરીયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને શુભાષભાઈ ખાંભરા આચાર્ય તા.શા.ન.-1એ નિવૃત થતા શિક્ષકની સેવાને બિરદાવી હતી.
દિનેશભાઈ વડસોલાએ પોતાની આગવી શૈલીમાં ભરતભાઈના શિક્ષક તરીકેના લાંબા કાર્યકાળને વાર્તાના માધ્યમથી સુંદર ઉક્તિઓથી વર્ણવ્યો હતો. શાળા પરિવાર વતી સાકર અને નાળિયેરનો પળો તેમજ સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી વિદાયમાન અપાયું હતું. ભરતભાઈએ પણ શાળાને ગ્રીનબોર્ડ અર્પણ કરી ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે ભેટ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારૂ સંચાલન પ્રફુલ્લભાઈ સાંણદિયાએ કર્યું હતું.
- text
- text