મોરબી જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા ઠેર-ઠેર સઘન સર્વે

- text



વાંકાનેર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા કામગીરી હાથ ધરાઈ

વાંકાનેર : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. બાવરવાની સૂચના મુજબ હાલમાં વરસાદ વરસી રહ્યો હોય પાણીના પાત્રોમાં નકામાપાત્રો વગેરેમાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી સંભાવના હોય તકેદારીના ભાગરુપે આજથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીમો બનાવી તમામ ગામના ઘર/વાડીઓના ઘર/કારખાનાઓ વગેરેમાં એન્ટીલાર્વલ કામગીરી 10 દિવસમાં કરવામાં આવશે. તે માટે THO ડૉ. આરીફ શેરસીયા, તાલુકા હેલ્થ સુપર વાઇઝર રાજેશ ચાવડા અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ પંચરની દુકાને ટાયરની અંદર વરસાદનું પાણી ના ભરાઈ તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ વાહક જન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે સ્કૂલમાં બાળકોને મચ્છરના પોરા બતાવી અને બાળકોમાં મચ્છર જન્ય રોગચાળો કેવી રીતે ફેલાય છે તેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

મકાનની છત પરના નાકમાં પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, અવાવરુ કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે THO વાંકાનેર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવું.


માળીયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ

માળીયા(મી.) : માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા, સરવડ, ખાખરેચી દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી છે. ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દૂર કરવામાં આવ્યા હતા. તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.એમ.ઓ. ડો. ડી.વી. બાવરવાની સૂચના મુજબ અને ટી.એચ.ઓ. માળીયા ડો. ડી.જી.બાવરવાના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તારીખ 10 થી 19 જુલાઈ સુધી ઝુંબેશનાં સ્વરૂપમાં કરવાની છે. જે અંતર્ગત આજરોજ ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરી હતી.

ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી કરેલ હતી. નકામાં પાણીના પાત્રો ખાલી કરાવ્યા હતા. જેથી ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. પાણીના પાત્રો ઢાંકીને રાખવા,અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી.

- text


મોરબી તાલુકામાં પીએચસી રાજપરની આરોગ્ય ટીમે મચ્છરજન્ય રોગચાળાની સર્વેની કામગીરી હાથ ધરી

મોરબી : ચોમાસાની ૠતુમાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે તેવામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી તાલુકામાં પી. એચ. સી રાજપરની આરોગ્ય ટીમ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને લઈને સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેમાં ગ્રામ્ય અને સીટી વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ જઈ ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એને નાખવું તેમજ છત પરના નાકમાં પાત્રોનો નિકાલ કરવો તેમજ વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખુલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મુકવી જેવા કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન લોકોને અપીલ કરવામાં આવી હતી કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખુલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે 10 વાગ્યે 10 મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને સહકાર આપી મચ્છરજન્ય રોગોને ડામવા સમજ આપવામાં આવી હતી.


મોરબી : હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળી દ્વારા વાહકજન્ય રોગના અટકાયતી પગલાં લેવાયા

મોરબી : આરોગ્ય વિભાગના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળી દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી અંગે સઘન કામગીરી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સgચના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડિકલ ઓફિસર ડો. કિરણ વિડજા, સુપરવાઇઝર પ્રફુલભાઈ રાઠોડના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીપળી અને અને ઇન્દિરા નગરના વિસ્તારોમાં વાહકજન્ય રોગના અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઘરના નાના મોટા વાસણોમાં બિન જરૂરી પાણીનો નિકાલ, એબેટ કામગીરી, જન જાગૃતિ તેમજ ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે ઘેર ઘેર જઈને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ઉપરોક્ત કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના આરોગ્ય કર્મચારી એવા દિલીપભાઈ દલસાણીયા, નિમુબેન પારઘી, સુનિલભાઈ લઢેર તેમજ વિવિધ વિસ્તારોની આશા વર્કરો દ્વારા કરવામાં આવી હતી.


 

- text