- text
પાણીની તકલીફ નહીં પડે ! એકાવન વર્ષ જુના ઐતિહાસિક મચ્છુ ડેમના પાંચ દરવાજા બદલાશે અને 33 દરવાજા રીપેર થશે
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમની મરામત કામગીરીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ઐતિહાસિક મચ્છુ ડેમના પાંચ દરવાજા બદલાશે અને 33 દરવાજા રીપેર થનાર હોવા છતાં આયોજન પૂર્વકના કામને કારણે મોરબીને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં નડે.
મોરબી સિંચાઈ વિભાગના અધિકારી વી.એસ.ભોરણીયાના જણાવ્યા મુજબ હાલમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, એકાવન વર્ષથી વધુ વય ધરાવતા મચ્છુ-2 ડેમમાં હાલમાં 38 દરવાજા આવેલ છે જેમાં 51 વર્ષ જુના 18 અને 20 વર્ષ જુના 20 દરવાજા આવેલ છે. જે પૈકી કેટલાક દરવાજા ક્ષતિગ્રસ્ત બનતા આ વર્ષે તમામ દરવાજા રીપેર કરવા સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી વી.એસ.ભોરણીયાએ જણાવ્યું હતું કે હાલમાં જુના દરવાજાનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને સરકારના આદેશ બાદ નવા દરવાજા ફિટિંગ કરવા કામ કરવામાં આવશે. જો કે આ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હોવા છતાં પણ મોરબી શહેરને પીવાના પાણી માટે આપવામાં આવતા જળજથ્થમાં કોઈ પણ જાતનો વિક્ષેપ નહીં સર્જવામાં આવે.
- text
- text