- text
ફાયર વિભાગે મહામહેનતે 3 કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો
મોરબી : મોરબીના રફાળેશ્વરમાં પાંજરાપોળના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં રૂ. પાંચેક લાખનું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. જો કે ફાયર વિભાગે મહામહેનતે 3 કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ પાંજરાપોળના ગોડાઉનમાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવ અંગે ત્યાંના વેલજીભાઈએ જણાવ્યું કે આગ લાગતા જ તુરંત બાજુમાં રહેલ સિરામિક ફેક્ટરીમાંથી ફાયર સેફટીના સાધનો વડે આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ફાયર વિભાગની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે પાણીનો મારો ચલાવી 3 કલાકની મહામહેનતે આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ જ્યાં લાગી હતી તે ગોડાઉનમાં અંદાજે 30 લાખ જેટલી કિંમતનો ઘાસનો જથ્થો પડ્યો હતો. આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અંદાજે પાંચેક લાખની કિંમતનો ઘાસનો જથ્થો બળી ગયો છે.
ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે ઝાળીમાં આગ લાગી
મોરબીમાં રેલવે સ્ટેશન નજીક આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે પણ આજે બપોરે બાવળની ઝાડીમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવી હતી.
- text
- text