ટંકારા શાંતિ આશ્રમ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહની આજે પુર્ણાહુતી

- text


ટંકારા : ટંકારા ગામ સમસ્ત બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજે પુર્ણાહુતી છે, બાળ વિદુષી રતનેશ્વરીબેન કથાનું રસપાન કરાવતા હોય હજારો ભાવિકોએ વનવગડામાં કથાશ્રવણનો લાભ લીધો હતો.

ટંકારા ગામથી ઉગમણી સીમના કેડે કોઠારીયા રોડ ઉપર આવેલ શ્રી પ્રાયશ્ચિત હનુમાનજી મંદિર અને બાપા સીતારામ સેવા સમિતિ તથા સમસ્ત ટંકારા ગામ દ્વારા શાંતિ આશ્રમ મુકામે વિશ્રામગૃહના લાભાર્થે રામધન આશ્રમ-મોરબીના બાળ વિદુષી રતનેશ્વરીબેનના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાતા હજારો શ્રોતાઓએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કર્યું હતું.

કથા દરમિયાન પરીક્ષિત રાજાનો જન્મ, ભગવાનના વિવિધ અવતારો, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા અનેક વિવિધ પ્રસંગો ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રૂક્ષમણી વિવાહમા ગાડા બળદમા જાન આવી હતી અને લગ્ન ગીતોની રમઝટથી વાતાવરણ શરણાઈના સૂર અને તાલની સંગત સાથે અનેરો ભક્તિ સંગમ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, કથા વિરામ બાદ દરરોજ ભક્તજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું અને જગ્યાના મહંત પ્રાણજીવનદાસ બાપુ દ્વારા હસતા મુખે રાહદારી ને ઓટલો અને રોટલાની સેવા આપી હતી. અહીંથી નટખટ કાનુડાના દર્શને દ્વારકા જતા અને આઈ ખોડીયાર માતાના દર્શને માટેલ પગપાળા જતા યાત્રાળુ માટેનો શોર્ટકટ રસ્તો હોય અહી વટેમાર્ગુઓ વિશ્રામ ગૃહમાં આશ્રય લઈ આનંદ અને શાંતિ મેળવી રહ્યા છે.

- text

- text