પ્રમુખ સ્વામી મહારાજનગરમાં અમિત શાહના હસ્તે ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો શુભારંભ

- text


 

ગૌતમ અદાણી સહિત ભારતના ઉદ્યોગ જગતના માંધાતાઓની ઉપસ્થિતમાં યોજાયો વિશિષ્ટ સમારોહ : ભારતના અગ્રગણ્ય ઓદ્યોગિક ગૃહોના વડાઓ પ્રમુખસ્વામી નગરને નિહાળી થયા અભિભૂત, પ્રમુખસ્વામી મહારાજને શતાબ્દીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબી : પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગઈકાલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સંપન્ન થયેલાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર આજથી અનેકવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમોથી ધબકતું થયું. પ્રમુખસ્વામી નગરના દર્શન માટે અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી રહી છે. સ્વયંસેવકોના અદ્ભુત શિસ્ત અને સમર્પણથી સમગ્ર નગર ઉત્કૃષ્ટ વ્યવસ્થાના આદર્શ સમું બની ગયું છે.

પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા પ્રોફેશનલ એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે.

આજે મહોત્સવના સર્વ પ્રથમ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભકતમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઓદ્યોગિક ગૃહોના વડા પ્રમુખસ્વામી નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ હર્ષભેર ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા

કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવમાત્રના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું. પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બની ચૂકી છે. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા ૧૬૦ કરતાંય વધુ પ્રવૃત્તિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણન્વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

૧૨૦૦ કરતાં વધુ મંદિરોના સર્જનથી, ૫૦૦૦થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, ૧૦૦ થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત ૧૧૦૦ કરતાં વધુ સંતો, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ લખાયેલાં પત્રો, ૧૭,૦૦૦ થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને ૨,૫૦,૦૦૦ કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

આજે સાંજે ૫.૧૫ વાગ્યે સભાનો આરંભ ભગવાનના નામસ્મરણ સાથે થયો. ત્યાર બાદ BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. ડોક્ટર સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના માનવ ઉત્કર્ષના ભગીરથ કાર્યો અને માનવ ઉત્કર્ષ માટે આધ્યાત્મિક માર્ગદર્શકની ભૂમિકા અને અનિવાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને દર્શાવતાં પરિચય વિડિયો બાદ અગ્રણી ઉદ્યોગપતિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

આજે કદાચ આવો પહલો અવસર હતો કે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ આટલી મોટી સંખ્યામાં એક સાથે હાજર રહ્યા હતા. આજના આ સંમેલનમાં ઓદ્યોગિક ક્ષેત્રના અનેકવિધ અગ્રણીઓમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા પરિમલ નથવાણી GMR ગ્રૂપના ચેરમેન જી. એમ. રાવ, ઝાયડસ કેડીલાના ચેરમેન પંકજભાઈ પટેલ, ટોરન્ટ ગ્રૂપના સુધીર મેહતા, સન ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હીરો ઇલેક્ટ્રિક અને હીરો એક્સ્પોર્ટસના ચેરમેન વિજય મુંજાલ પણ ઉપસ્થિત હતા.

ત્યાર બાદ યુવા વૃંદ દ્વારા રાજસ્થાનનું સુપ્રસિદ્ધ ‘તેરા તાલી’ નૃત્યની રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો, ગૃહમંત્રી અમિત શાહ અને સર્વે અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા માનવ ઉત્કર્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કાલે ૧૬ ડિસેમ્બર, શુક્રવારે હજારો ભકતો-ભાવિકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘Culture Day: Celebrating Indlan Culture’ એટલે કે ‘સંસ્કૃતિ દિન’ ની ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકે શાશ્વત ભારતીય મૂલ્યોના પ્રસારણ માટે કરેલાં અભૂતપૂર્વ યુગકાર્યોની ઝાંખી કરાવનાં રોચક કાર્યક્રમો પ્રસ્તુત થશે.

મહાનુભાવોના ઉદબોધન

“મારા જીવનના અનેક ઉતાર ચડાવોમાં સૌથી પહેલા જો કોઈનો ફોન આવ્યા હોય તો તે પ્રમુખસ્વામી મહારાજના હતા, માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંગમ છે. વેદો ઉપનિષદોના જટિલ જ્ઞાનને અને ભગવાન સ્વામિનારાયણની આ જ્ઞાન પરંપરાને, સરળ રૂપે, સમગ્ર સંસારને આપવાનું અને કરોડો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સૌથી ઉત્તમ રીતે કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું”- ગૃહમંત્રી અમિત શાહ

“વિશ્વના શ્રેષ્ઠ કોર્પોરેટ જૂથ માટે પણ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શીખવા જેવું છે”-ગૌતમ અદાણી

“પ્રમુખસ્વામી મહારાજ સંતત્વનું મૂર્તિમંત પ્રતીક હતા.”- સુધીર મહેતા

“પ્રમુખસ્વામી મહારાજનું જીવન ઉત્તમ પાઠશાળા સમાન હતું” –પંકજ પટેલ

” પ્રમુખસ્વામી મહારાજ નગર ચાર ધામ તુલ્ય છે.” –પરિમલ નથવાણી

‘આ પ્રસંગના સાક્ષી બનવા મારી જાતને હું ભાગ્યશાળી માનું છું.” –કલ્યાણ રામન

- text