વાંકાનેર પાલિકા વહીવટમાં નિષ્ફળ : સરકારે સંખ્યાબંધ મુદ્દાઓ સાથે ફટકારી કારણદર્શક નોટિસ

- text


 

પ્રમુખે સતાથી ઉપરવટ જઈને અનેક કામ કર્યા, ચૂંટાયેલ બોડી પણ તેને બહાલી આપી ગેરકાયદેસર હુકમોમાં સહભાગી બનતી

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આકરા પાણીએ, નોટીસનો યોગ્ય જવાબ નહિ મળે તો પાલિકા વિસર્જિત કરવાની તૈયારી

વાંકાનેર : વાંકાનેર પાલિકાની લોલમલોલ અંતે સરકાર સુધી પહોંચી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે પાલિકાને નોટિસ ફટકારી પ્રમુખ સતા બહારના જે કામો કરતા તે સંદર્ભે જવાબ રજૂ કરવા પણ આદેશ જારી કર્યો છે. જો નોટીસનો યોગ્ય જવાબ નહિ મળે તો પાલિકા વિસર્જિત કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

- text

વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ દ્વારા સતાથી ઉપરવટ જઈને અનેક કામો કરવામાં આવ્યા હોય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આકરા પાણીએ છે. વધુમાં પ્રમુખના અણધણ વહીવટને ચૂંટાયેલ બોડી પણ બહાલી આપી ગેરકાયદેસર હુકમોમાં સહભાગી બનતી હતી. વધુમાં કર્મચારીને તાત્કાલિક છુટા કરી દેવા, રજાઓ નામંજૂર કરવી જેવા અનેક ચીફ ઓફિસરને લેવાના થતા નિર્ણયો પ્રમુખે પોતે લીધા હતા. આ ઉપરાંત નાણાકીય હિસાબો પણ વ્યવસ્થિત ન હોય, ભંડોળનો પણ પૂરો ઉપયોગ વિકાસ કામો માટે થયો નથી. આ સહિતના કુલ 14 મુદ્દાઓ નોટિસમાં દર્શાવવામાં આવ્યા છે. આ 14 મુદ્દાઓને ધ્યાને લઈને પાલિકાને વિસર્જિત કેમ ન કરવી તે માટે ખુલાસો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકા અધિનીયમ 1963 અન્વયે ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલ હોય, પાલિકાને કલમ 263(1) હેઠળ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ જનરલ બોર્ડ સમક્ષ તુર્તજ રજૂ કરીને આ નોટિસ સંદર્ભમાં જે કઈ રજુઆત કે જવાબ હોય તેનો લેખિત ખુલાસો જનલર બોર્ડના ઠરાવ સવડુપે નિયત સમય મર્યાદામાં આપવાનો રહેશે. જો કોઈ ખુલાસો નહિ મળે તો પાલિકાને આ બાબતે કઈ કહેવાનું થતું નથી તેવું માનીને આગળની પાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જણાવ્યું છે.

- text