ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા

- text


હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન

મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16 એપ્રિલ દરમિયાન 108 પોથી રામકથા યોજવામાં આવનાર છે.

મોરબીમાં ભરતનગર-બેલા ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફૂટ હનુમાનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ તેમજ ગૌ મહિમા ધર્મસભા અંતર્ગત કનકેશ્વરીદેવીના વ્યાસપીઠ સ્થાને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ આયોજિત રામકથાના મુખ્ય યજમાન મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ મનસુખભાઇ લોરીયા છે. ખોખરા હનુમાન હરિહરધામના પવિત્ર પ્રાંગણમાં 108 પોથી રામકથાનો પ્રારંભ તા. 8 એપ્રિલથી થશે અને તા. 16 એપ્રિલના રોજ કથા વિરામ થશે. કથાનો સમય દરરોજ સવારે 9થી 1નો રહેશે. દરરોજ બપોરે કથા વિરામ બાદ ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા છે.

- text

રામકથાના આયોજન અંતર્ગત સંતવાણીના પાંચ કાર્યક્રમો રાત્રે 10 કલાકે રાખેલ છે. જેમાં તા. 10 એપ્રિલના રોજ શૈલેશ મહારાજ, સાધ્વી જયશ્રીદાસજી, ગોપાલ બારોટ, તા. 12 એપ્રિલના રોજ નિરંજન પંડ્યા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, દમયંતી બરડાઇ, તા. 13 એપ્રિલના રોજ બિરજુ બારોટ, દક્ષા પરમાર, શાંતુ મહારાજ, તા. 14 એપ્રિલના રોજ લલિતા ઘોડાદરા, પ્રવિણદાન ગઢવી, ભરતદાન ગઢવી, મુકેશ મહારાજ તેમજ તા. 16 એપ્રિલના રોજ કિર્તીદાન ગઢવી ગ્રૂપ, દેવરાજ ગઢવી (લોકસાહિત્યકાર) કલાકારો ભજનની પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ સંતવાણી ચેનલ પર કરવામાં આવશે. ત્યારે આયોજકોએ ભાવિકોને સમગ્ર આયોજનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

- text