ટંકારામાં શનિવારે વાહન વ્યવહાર મંત્રીના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ

- text


બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, શોપ સહિતની સુવિધા

ટંકારા : ટંકારામાં શનિવારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, શોપ સહિતની સુવિધા આપવામાં આવી છે.

એસ.ટી. નિગમના નવનિર્મિત 4 બસ સ્ટેશનોનો લોકાર્પણ સમારોહ તા. 12ને શનિવારના રોજ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મંત્રીના વરદ્ હસ્તે ટંકારા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. અને અન્ય ત્રણ બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાશે.

આ કાર્યક્રમ સાંજે પ્રાર્થના ગીત સાથે શરૂ થશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત તથા પ્રાસંગિક ઉદ્બોધન, મહાનુભાવોનું કુલહાર તથા બુકેથી સ્વાગત, મંત્રીના વરદ્ હસ્તે ટંકારા બસ સ્ટેશનનું લોકાર્પણ, મંત્રી (વાહન વ્યવહાર)નું ઉદ્બોધન અને 5-15 કલાકે આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થશે.

- text

રાજય સરકાર તરફથી નિગમને નવિન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસ.ટી. વિભાગના ટંકારા મુકામે 2646 ચો.મી. જમીન પર રૂા. 166.53 લાખના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન (કીચન સહિત), વોટર રૂમ (આર.ઓ. સહિત), પાર્સલ રૂમ, 2 સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), મુસાફરો માટે શૌચાલય, દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય, સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ટંકારા બસ સ્ટેશન પર રાજકોટથી કચ્છ જતી તમામ બસનો સ્ટોપ રહેશે. તેમજ ટંકારામાં બસ સ્ટેશનની લોકમાંગ છેલ્લા ઘણા સમયથી હતી, જે હવે પૂર્ણ થશે.

- text