નવી ગાઇડલાઈન જાહેર : ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ

- text


 

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નવી ગાઇડલાઈન અંગે નિર્ણય : કરફ્યુ યથાવત, અન્ય કોઈ રાહત નહિ

મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવી ગાઇડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. આ ગાઈડલાઈન પ્રમાણે હવે ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ મળશે. જ્યારે બંધ જગ્યામાં યોજાતા પ્રસંગમાં 150 લોકોને જ છૂટ મળશે. ગાઇડલાઈનમાં આ સિવાય કોઈ રાહત આપવામાં આવી નથી.

નવી ગાઇડલાઈન આવતીકાલે એટલેકે તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને તા. ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.

રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે. લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.

- text

હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૦૪-૨-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૪થી ફેબ્રુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. ૧૧ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ સુધી અમલમાં રહેશે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

- text