જાણો… મ્યુકોરમાઈકોસિસના લક્ષણો, નિદાન સહિતની તમામ માહિતી

- text


મ્યુકોરમાઈકોસિસ : શું કહે છે મોરબીના એક્સપર્ટ ડોક્ટર્સ?

મોરબી : સમગ્ર દેશ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના વાયરસની મહામારીમાં સપડાયેલો છે. કોરોનાની બીજી લહેરે મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી દીધી છે. જો કે હાલમાં મોરબી જિલ્લામાં કોવિડ કેસોની સંખ્યા ઘટી હોવાથી થોડી રાહત થઇ છે. પરંતુ હવે મોરબી સહિત રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ નામની જટિલ બીમારીએ માથું ઊંચક્યું છે. મ્યુકોરમાઈકોસિસ રોગના કેસો રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી સહીતના શહેરોમાં જોવા મળ્યા છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસથી રક્ષણ મેળવવા તકેદારીના ભાગરૂપે રોગ વિષે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી જાગૃતતા કેળવવી આવશ્યક છે.

શું છે મ્યુકોરમાઈકોસિસ?

મ્યુકર નામની ફૂગથી થતા રોગને મ્યુકોરમાઈકોસિસ કહેવાય છે. મ્યુકરમાઇકોસિસનો રોગ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની સારવારમાં સ્ટીરોઇડને કારણે સુગર લેવલ વધ્યું હોય કે રોગ પ્રતિરોધક શક્તિ ઘટી હોય તેવા દર્દીઓ આ રોગનો ભોગ બની રહ્યા છે.

સામાન્ય રીતે, આંખ અને નાકના હાડકાની વચ્ચે આ રોગ થાય છે. આ બીમારીમાં ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. મ્યુકર લોહીની નસોમાં ઉછેર પામી, લોહીના પ્રવાહને બંધ કરી દે છે અને જે-તે પેશીનો નાશ (નેક્રોસિસ) કરે છે. મ્યુકરમાઇકોસિસ ફેફસામાં ફેલાય તો તેને ‘પલમોનરી માઇકોસિસ’ તેમજ ચામડીમાં થાય તો તેને ‘ક્યુટેનિઅસ માઇકોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે.

મ્યુકોરમાઈકોસિસના લક્ષણો

સાયનન્સ ઈન્ફેકશન થાય, સાથે નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ માથાનો દુખાવો અને તાવ જેવી તકલીફો, ચેપ સાયનસની બહાર લાગે તો મોંની ઉપરનું જડબુ કોતરાઇ જવું નાકની આસપાસ સોજો થવો આંખ અને સાઇનસ પર લાલાશ (એરીથેંમા) અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે

મ્યુકોરમાઇકોસિસ કોને થઇ શકે?

કોરોના કે કેન્સરના દર્દીને શ્વેતકણો (WBC)નું પ્રમાણ ઓછું હોય તેવા લોકોને, આયર્ન (લોહતત્વ)નું પ્રમાણ લોહીમાં અતિશય વધી (હેમોક્રોમાટોસિસ) જાય ત્યારે, રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય ત્યારે, લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય તેને, અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિને, ચામડીમાં ઊંડો ઘા થયો હોય ત્યારે, પાંદડાઓના સડા અને છાણમાં ફેલાયેલી આ ફૂગનો ચેપ લાગે ત્યારે

મ્યુકોરમાઈકોસિસનું નિદાન અને સારવાર

મ્યુકોરમાઈકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના નિદાન માટે સીટી સ્કેન, એમઆરઆઇ, બાયોપ્સી અને બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ સારવારમાં એમ્ફોટેરેસિન-બીના ઈંજેકશનો 15થી 21 દિવસ સુધી આપવામાં આવે છે. અને ઓપરેશન દ્વારા નાકમાંથી મ્યુકરને દૂર કરવામાં આવે છે..

આ રોગના દર્દીઓને સમયસર સારવાર આપવામાં ના આવે તો તેના ચહેરાનાં અનેક ભાગોને ઈજા પહોંચી શકે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે. આ રોગ આંખમાં થાય તો આંખ સોજી જાય છે અને કોઈવાર આંખ ખસી જાય (પ્રોપ્ટોસિસ) છે. આ રોગ દર્દીની રોશની છીનવી શકે છે. તેમજ મ્યુકરમાઇકોસિસ મગજમાં ફેલાઇ જાય દર્દીઓની હાલત ગંભીર થઇ જાય છે. તેની જીભ થોથવાય છે. ચહેરો વાંકોચૂકો થઇ જાય છે. મગજમાં પરૂ થઇ કોમાની સ્થિતિ ઊભી થાય છે.

- text

મ્યુકોરમાઈકોસિસ વિષે મોરબીના એક્સપર્ટ ડોક્ટર્સનો અભિપ્રાય

કોરોનાગ્રસ્ત દર્દીઓએ સુગર લેવલ ચેક કરતુ રહેવું, સુગર લેવલ 200થી ઉપર આવે તો મ્યુકોરમાઈકોસિસનો ખતરો ટાળવા તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો : ડો. હિતેશ પટેલ

મોરબીની ઓમ-આંખ, નાક અને ગળાની હોસ્પિટલના ડો. હિતેશ પટેલે જણાવ્યું છે કે મ્યુકોરમાઈકોસિસએ વાતાવરણમાં રહેલી ફૂગથી થતો રોગ છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને ડાયાબીટીશ હોય તે આ રોગનો શિકાર થઇ શકે છે. આ એક પ્રકારનું ‘Opportunistic Infection’ (તકવાદી સંક્રમણ) છે. એટલે કે માનવીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતા ફૂગને જેવી તક મળે તેવી તરત મ્યુકર ફૂગ શરીરમાં પ્રવેશી જાય છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઘટી ગયું હોય, સાથે જો તેઓ ડાયાબીટીશ ધરાવતા હોય તો તેને આ રોગનું જોખમ રહે છે. અત્યાર સુધી આ રોગના જેટલા દર્દીઓ ધ્યાનમાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના દર્દીઓ ડાયાબીટીશવાળા હોય છે.

આ રોગ સંદર્ભે સુગર લેવલની ભૂમિકા અંગે જણાવતા ડો. હિતેશ પટેલ કહે છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ આપવામાં આવે છે. જેના લીધે સુગર લેવલ વધે છે. આથી, ડાયાબીટીશવાળા અથવા જેને ડાયાબીટીશ નથી, તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓએ પણ સુગર લેવલ ચેક કરતુ રહેવું જોઈએ. જો સુગર લેવલ 200થી વધુ આવે તો મ્યુકરમાઈકોસિસનો ખતરો ટાળવા તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

વધુમાં, તેઓ જણાવે છે કે જડબામાં દુઃખાવો કે સોજો, દાંત, માથું, આંખ દુખે, આંખ લાલ થવી કે આંખમાં સોજો જેવા લક્ષણો દેખાય તો આ રોગ હોય શકે છે. આ ફૂગ નાકમાં જવાથી ચામડી કાળી થઇ જાય છે. રોગના નિદાન માટે એન્ડોસ્કોપી કે એમઆરઆઈ કરવામાં આવે છે. તેમજ રોગની સારવારમાં ઓપરેશન દ્વારા દર્દીની ચામડી અને હાડકાં પર રહેલી ફૂગનો નાશ કરાય છે. તથા તેના માટે 15-20 દિવસ સુધી દર્દીને ફીજીશીયનના માર્ગદર્શન હેઠળ ઇન્જેક્શન આપવામાં આવે છે. જે ઇન્જેક્શનથી આડઅસર પેદા થાય છે. તેના કરતા મ્યુકોરમાઈકોસિસ ન થાય તે માટે લોકોએ સાવચેતી રાખવી આવશ્યક છે.

નાસ લીધા બાદ નાકની આજુબાજુ ભેજ રહે તો મ્યુકોરમાઈકોસિસની શક્યતા રહે છે : ડો. વિજય ગઢીયા

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તથા જીવનદીપ હોસ્પિટલના એમ.ડી. ડો. વિજય ગઢીયાએ જણાવ્યું છે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય અને ડાયાબીટીશ કાબુમાં ન હોય ત્યારે મ્યુકર નામની ફૂગ શરીર પર આક્રમણ કરે છે. આ ફૂગ અઠવાડિયામાં નાકમાંથી સાયનસમાં થઈને આંખથી મગજ સુધી પહોંચી જાય છે. એટલે કે તેનો ફેલાવો ખુબ ઝડપથી થાય છે. તેની સારવાર એકથી દોઢ મહિના સુધી ચાલે છે. દર્દીઓની આંખ, મગજ તથા કિડની પર ગંભીર ઇજા પહોંચે છે. જેની લાઈફટાઈમ માટે દર્દીઓએ પીડા સહન કરવી પડે છે. અને આ રોગમાં કોરોના કરતા મૃત્યુદર ઘણો ઊંચો છે. મોરબીમાં દરરોજ લગભગ 15-20 કેસો જોવા મળે છે. વધુમાં, હાલમાં લોકો કોરોનાથી બચવા માટે નિયમિત રીતે નાસ લેતા હોય છે. ત્યારે નાસ લીધા બાદ જો નાકની આજુબાજુ ભેજ રહે તો ફૂગને અનુકૂળ વાતાવરણ મળી જાય છે. આથી, ડોક્ટરની સલાહ વિના કે વધુ પડતી નાસ ન લેવી હિતાવહ છે.

- text