મોરબી મચ્છુ માતાજી મંદિરે આવતા ભરવાડ પરિવારને જામનગર નજીક કાળ આંબી ગયો : ત્રણના મોત

- text


જામનગરની ભાગોળે કાલાવડ બાયપાસ ચોકડી નજીક એક બોલેરોના ચાલકે પદયાત્રીઓને હડફેટે લેતા ગોઝારો અકસ્માત : જામજોધપુરના સોનવડીયા ગામના ભરવાડ પરિવારમાં શોક

જામનગર : જામનગર કાલાવડ બાયપાસ ચોકડી નજીક મોરકંડા રોડ પર એક બોલેરો વાહનના ચાલકે પદયાત્રીઓને હડફેટમાં લઇ લેતા બે પદયાત્રીઓના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક નું જીજી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. સોનવડીયા ગામ ના ભરવાડ પરિવારના ૬ સભ્યો સોનવડીયા થી પદયાત્રા કરીને મોરબી મચ્છુ માતાજીના મંદિરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જેથી પરિવાર માં ભારે કરુણાંતિકા છવાઈ છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામના ભરવાડ પરિવારના છ સભ્યો પદયાત્રા કરીને મોરબી ખાતે આવેલા મચ્છુ માતાજીના મંદિરે માનતા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા. જેઓ પરમ દિવસે પોતાના ગામેથી પદયાત્રા શરૂ કરીને નિકળ્યા હતા, અને આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં જામનગર ની ભાગોળે ઠેબા ચોકડી નજીક મોરકંડા રોડ પર પહોંચ્યા હતા. જેમાં એક વ્યક્તિ રીક્ષા છકડો ચલાવતી હતી, અને તેમાં માલ સામાન ભર્યો હતો. જ્યારે બાકીના પદયાત્રીઓ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. આ સમયે પૂરપાટ વાગે આવી રહેલી એક બોલેરો ના ચાલકે પાંચ પૈકીના ચાર પદયાત્રીઓને હડફેટે લઇ લેતાં ચારેયને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી.

જે પૈકી કિશોરભાઈ પોલાભાઈ રાડા (ઉંમર ૧૮) અને ભોજાભાઇ ગોકળભાઈ ચારોલીયા (ઉંમર વર્ષ ૫૦) બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જ્યારે પોલાભાઈ ભીખાભાઈ (ઉ.વ.૩૭)ને ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

- text

તેની સાથે કલાભાઈ ગમારા નામના ચાલીસ વર્ષના એક યુવાને પણ ગંભીર પ્રકારની ઈજા થઈ છે, અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં તેની સઘન સારવાર ચાલી રહી છે. જેની પણ હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે. આ અકસ્માતના બનાવ અંગેની જાણ થતા પંચકોશી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને વધુ તપાસ શરૂ કરી છે.આ બનાવને લઇને ભરવાડ પરિવારમા ભારે કરુણાંતિકા છવાઇ છે.

- text