મોરબીમાં સિરામિકના 150 એકમો શરૂ : બાકીના એકમો શ્રમિકોના અભાવે હજુ પણ બંધ

- text


શ્રમિકોને અહીં પરત લાવવાની પ્રક્રિયા ખૂબ જટિલ, તેમાં સરળતા આવે તો 15થી 20 દિવસમાં ઉદ્યોગો પુનઃધમધમતા થઈ જશે : નિલેશભાઈ જેતપરિયા

પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ગેસના ભાવ ઘટાડવા તેમજ ઇલેક્ટ્રિક બિલ ઉપરની ડ્યુટી અને ડિમાન્ડ ચાર્જ માફ થવા જોઈએ : મુકેશ ઉધરેજા

મોરબી : મોરબીમાં સિરામિક ઉદ્યોગના 150 જેટલા એકમો હાલ શરૂ થઈ ગયા છે. જ્યારે બાકીના એકમો શ્રમિકોના અભાવે હજુ પણ બંધ હાલતમાં છે. હાલ તો ઉદ્યોગકારો સમગ્ર સ્થિતિ સામાન્ય થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વધુમાં અર્થતંત્રને લોકડાઉનના કારણે પડેલા મારને લીધે હજુ ઘણા સમય સિરામિક ઉદ્યોગકારોને અનેક પ્રશ્નોનો સામનો કર્યા સિવાય છૂટકો નથી.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગમાં હાલ શ્રમિકોનો પ્રશ્ન સૌથી મોટો છે. શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે. જેઓ અહીં પરત ફરવા ઈચ્છે છે પરંતુ અહીં પરત આવવાની પ્રક્રિયા જટિલ હોય તેઓ આવી શકતા નથી. સરકાર આ પ્રક્રિયા સરળ કરી દે તો સિરામિક ઉદ્યોગો 15 થી 20 દિવસમાં ફરી ધમધમતા થઈ શકે છે.

ઉદ્યોગો શરૂ થઈ ગયા હતા છતાં શ્રમિકો વતન જવાની વાટે કેમ છે તે પ્રશ્નના જવાબમાં નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે હાલ કોરોનાના કારણે ભયનો માહોલ છે. ત્યારે પોતાના સ્વજનોથી દૂર રહેતા મોટાભાગના પરપ્રાંતીયો માત્ર સ્વજનોને એક ફેરે મળવા માટે પોતાના ઘરે જઈ રહ્યા છે. બાદમાં મળીને અહીં આવવા માટે તેઓ અધીરા બન્યા છે.

- text

સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશ ઉધરેજાએ જણાવ્યું કે હાલ તો ઓછી ફેકટરીઓ શરૂ છે એટલે અત્યારે તારણ ન નીકળી શકે પરંતુ બધી ફેકટરીઓ ચાલુ થશે પછી માર્કેટની સ્થિતિનો અંદાજ આવશે. વધુમાં તેઓ કહ્યું કે મજૂરોને અહીં લાવવા સરકારે સરળ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સાથે ગેસના ભાવમાં ઘટાડો આપવો જોઈએ અને ઇલેક્ટ્રોનિક ડ્યુટી 15 ટકા છે તે તેમજ ડિમાન્ડ ચાર્જ બન્ને માફ કરવા જોઈએ. ઉદ્યોગો હાલ પડી ભાંગ્યા છે. તેને ઉભા કરવા માટે જ્યા સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી સરકારે ઉદ્યોગોને આટલી રાહત આપવી જોઈએ. જેથી ઉદ્યોગો પહેલાની જેમ પુનઃધમધમતા થઈ શકે.

- text