મોરબીમાં જુગારમાં 51 લાખ હારી જનાર પટેલ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

- text


જુગારમાં માતબર રકમ હારી જનાર વેપારીને ચાર શખ્સોએ ધમકી આપી પઠાણી ઉઘરાણી શરૂ કરતાં ફરિયાદ

મોરબી: મોરબીના કેનાલ રોડ પર રહેતા પટેલ વેપારી જુગાર રમતા 51 લાખ 50 હજારની રકમ હારી ગયા બાદ આ રકમની ઉઘરાણી બાબતે ચાર શખ્સો દ્વારા ફોનમાં ટાંટિયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આલાપ સોસાયટીમાં રહેતા આશિષ કાનજીભાઈ ધમસાણીયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ફરિયાદ લખાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 4 જૂન થી તા.5 સપ્ટેમ્બર સુધીમાં પોતે જુગારમાં 51 લાખ 50 હજાર જેવી રકમ હારી જતા કિશોર સંતોકી, રાજુ પટેલ ઇંદ્રિશભાઈ અને મરાજ નામના ચાર વ્યક્તિ દ્વારા પોતાના પર પૈસા આપવા દબાણ લાઇ ટાંટિયા ભાંગી નાખી જીવથી હાથ ધોઈ બેસવા અંગે ટેલીફોનમાં ધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદ નોંધાવી છે.
વધુમાં ફરિયાદી આશિષભાઈ પોતાના ઘરે જ ઉપરોક્ત ચારેય આરોપીઓ સાથે જુગાર રમતા હોય અને એક આરોપી પોતાની પાસે 50 લાખ અને બીજો આરોપી પોતાની પાસે દોઢલાખ માંગતો હોય પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે,જો કે ફરિયાદ શંકાસ્પદ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

- text