સરસ્વતી શિશુ મંદિર શકત શનાળા ખાતે ગણતંત્ર દિવસ ઉજવાયો

- text


મોરબી : આજે 26 જાન્યુઆરી 2024 ને શુક્રવારે સરસ્વતી શિશુ મંદિર શકત શનાળા ખાતે 75 મો ગણતંત્ર દિવસ ખૂબ જ ઉત્સાહ, આનંદ અને શૌર્ય ભરી રીતે ઉજવાયો હતો.

- text

કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા ભારત માતા પૂજનથી થઈ હતી. ત્યારબાદ ધ્વજવંદન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન વંદે માતરમ અને વિદ્યાર્થીઓ દ્વારા નારાઓનો ઉદઘોષ થયો હતો. 75મા ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મંગલમ હોસ્પિટલના ડોક્ટર દીપકભાઈ અઘારા હાજર રહ્યા હતા. તેમણે પોતાના અતિથિ ઉદબોધનમાં જણાવ્યું કે, આવનારો સમય ભારતનો છે. વિદ્યાર્થીઓને કહ્યું કે, તમે ભારતનું ભવિષ્ય છો. તમને જે વિષયમાં રુચિ હોય જેમ કે ભણવું, ખેલકૂદ, ચિત્ર, સંગીત વગેરે જેવા વિષયમાં રુચિ હોય તે વિષયમાં ખૂબ મન લગાવીને ભણજો અને મોટા થઈને ભારત માતાની સેવા કરજો. તેમણે પોતાના વક્તવ્યમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખુબ પ્રશંસા કરી હતી. વિદ્યાલયની વિદ્યાર્થિની ધ્યાનીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી. વિદ્યાલયના આચાર્ય ધરતીબેન અઘારાએ મુખ્ય વક્તવ્યમાં જણાવ્યું કે, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે. તેમણે બંધારણનો ઇતિહાસ, બંધારણનું મહત્વ અને બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને મળેલા હકો અને ફરજોની માહિતી આપી હતી. વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય સ્વરૂપે રામાયણની પ્રસ્તુતિ થઈ અને ભગવાન શ્રીરામને લગતું શૌર્ય ગીત અભિનય સાથે પ્રસ્તુત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર બાબુભાઈ અઘારા, વિદ્યાલયના વ્યવસ્થાપકો વિજયભાઈ ગઢીયા, દિપકભાઈ વડાલીયા, પરેશભાઈ મોરડીયા તથા વિદ્યાલયના નિયામક સુનિલભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના તમામ પ્રધાન આચાર્યો, આચાર્ય તથા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં વાલીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે આભાર દર્શન કરાયું હતું અને શાંતિ મંત્ર બોલી પ્રસાદ લઈ અને ભારત માતાનું પૂજન કરીને સૌ છૂટા પડ્યા હતા.

- text