ચણાના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યો ઉપાય

- text


મોરબી : ચણાના પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. જો ઈયળના પાછળના ભાગે આંગળી મુકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આંગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે આ લીલી ઈયળ જ છે. આ ખાઉધરી ઇયળ પાકમાં પોપટા બેસે ત્યારે વધુ નુકશાન કરે છે. માટે લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન થાય તે હેતુસર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ માર્ગદર્શિકા અનુસાર ચણાના પાકમાં ધાણા, રાઈ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરવું. ચણાના પાકમાં ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફૂંદી ગલગોટા તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા મૂકે છે, જેથી ઈંડા મુકાયેલા ફુલ ચુંટી લેવા અથવા તેના પર દવાનો છંટકાવ કરવો. પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કેરોસિનના ટીંપા નાખવા, જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે. પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભા પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા. લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટાનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો અથવા અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ અથવા એનપીવી ૨૫૦ એલઇ ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

- text

આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text