પગરખાકાંડમાં રાણીબા સહિતના આરોપીઓના રેગ્યુલર જામીન નામંજુર

નામદાર સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટ દ્વારા ગુન્હાની ગંભીરતા જોતા સરકારી વકીલની ધારદાર દલીલો ધ્યાને લઇ જામીન અરજી ના મજૂર કરાઈ

મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને બાકી નીકળતો પગાર ચૂકવવાને બદલે જંગલિયત આચરનાર મોરબીની રાણીબા આણી મંડળીની ધરપકડ બાદ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે ગુન્હાની ગંભીરતા જોતા તમામ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા ઉ.વ.21 નામના યુવાને રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરી કર્યા બાદ આ નોકરી છોડી દઇ બાકી નીકળતો પગાર માંગતા રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારી આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી કર્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાયા બાદ પોલીસ સમક્ષ હાજર થયેલ રાણીબા અને તેની ટોળકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા.

બીજી તરફ આ ચકચારી કેસમાં જેલવાસ ભોગવી રહેલ રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતના આરોપીઓએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતા આજે સુનાવણી દરમિયાન નામદાર સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટના જજશ્રી વિરાટ બુદ્ધ સાહેબ દ્વારા ગુન્હાની ગંભીરતા ઉપરાંત સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ધ્યાને લઇ રેગ્યુલર જામીન અરજી ના મજૂર કરતો હુકમ કર્યો હતો.