ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ : મનોજ પનારા

- text


વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ઉઘરાણા મામલે જેરામભાઈના પુત્ર અમરશીભાઈ સામે એફઆરઆઈ થઈ હોય મનોજ પનારાના સણસણતા આક્ષેપો

મોરબી : વાંકાનેરના વઘાસિયા ટોલનાકની સમાંતર બોગસ ટોલનાકુ બનાવી પોતાની બંધ પડેલી ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવી ઉઘારાણા કરવાના આરોપ સબબ ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર સહિતના વિરુદ્ધમાં ગુન્હો નોંધાતા મોરબીના કોંગ્રેસ અગ્રણી અને પાસ આગેવાન મનોજ પનારાએ જેરામભાઈ વિરુદ્ધ સણસણતા આક્ષેપોનો મારો ચલાવી નૈતિકતાના ધોરણે જેરામભાઈએ ઉમિયાધામ સીદસર સહિત સમાજના તમામ હોદા ઉપરથી રાજીનામુ ધરી દેવા માંગણી કરી છે.

મોરબીના કોંગ્રેસ અગ્રણી અને પાટીદાર અનામત આંદોલનના નેતા મનોજ પનારાએ આજે વઘાસિયાના બોગસ ટોલનાકા પ્રકરણમા સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અમરસીભાઈ વાસજાળીયા સહિતના વિરુદ્ધ ગુન્હો નોંધાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિડિયો શેર કરી જેરામભાઈને આડેહાથ નૈતિકતાના ધોરણે તાકીદે રાજીનામુ આપવા જણાવ્યું હતું. મનોજ પનારાએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે, જેરામભાઈ વાસજાળીયા લાંબા સમયથી પ્રમુખ પદે બેઠા છે જેનો સમાજમાં પણ આંતરિક વિરોધ છે, સાથે જ અગાઉ પણ જેરામભાઈ વિરુદ્ધ સીદસર તેમજ ધ્રોલની સંસ્થાને લઈ આક્ષેપો થયા હોય તાત્કાલિક ધોરણે તેઓએ સમાજની સંસ્થાઓના તમામ હોદા ઉપરથી રાજીનામુ ધરી દેવા કહ્યું હતું.

- text

વધુમાં પાસ અગ્રણી અને કોંગ્રેસ નેતા મનોજ પનારાએ કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે પણ જેરામભાઈની વરવી ભૂમિકા રહી હોય સમાજના યુવાનોમાં જેરામભાઈ પ્રત્યે કોઈ આદરભાવ નથી રહ્યો આ સંજોગોમાં જ્યા સુધી તેમના પુત્ર ઉપર નોંધાયેલ ગુન્હામાં નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી જેરામભાઈએ પોતાની નૈતિક ફરજ સમજી સ્વૈચ્છીક રીતે જ રાજીનામુ આપી દેવું જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.

- text