મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી રહેવાસીઓ પરેશાન

- text


નગરપાલિકાએ જાહેર કરેલા કર્મચારીના મોબાઈલ નંબરમાં કોઈ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ

મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા ભીમરાવનગરમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી શેરીમાં ઉભરાય છે. ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ હોય અનેક રજુઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી સ્થાનિકોનું આરોગ્ય રામભરોષે થઈ ગયું છે. આ ઉપરાંત નગરપાલિકાએ જાહેર કરેલા કર્મચારીના મોબાઈલ નંબરમાં પણ કોઈ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ ઉઠી છે.

મોરબીના વોર્ડ નંબર-2માં આવેલ વીસીપરા અંદરના મદીના સોસાયટી પાસેના ભીમરાવનગર વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, ભીમરાવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાયા કરે છે. સતત ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થતી હોય આખી શેરીમાં ગટરના દૂષિત પાણી નદીના વહેણની જેમ વહે છે. ગટરની ગંદકીના કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડે છે અને લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. આ ગંભીર સમસ્યાની અનેક વખત રજુઆત કરવા છતાં ગટરનો પ્રશ્ન ઉકેલાયો નથી.

- text

બીજી તરફ નગરપાલિકાએ ભૂગર્ભ સહિતની સમસ્યાના ઉકેલ માટે ચાર જવાબદાર કર્મચારીઓના મોબાઈલ નંબર જાહેર કર્યા હતા. પણ આ હેલ્પલાઇનનો ફિયાસ્કો થયો છે. કારણ કે આ વિસ્તારના લોકો વારંવાર ભૂગર્ભની સમસ્યા માટે જવાબદાર કર્મચારીને ફોન કરે છે પણ એ કર્મચારી ફોન રિસીવ જ કરતા નથી. તેથી ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત રહી છે. ગટરની ગંદકી વધતા આ વિસ્તારના લોકોએ પાલિકા તંત્ર સમક્ષ તેમના વિસ્તારનો ગટરનો પ્રશ્ન હલ કરવાની માંગણી કરી છે.

- text