શિક્ષણક્ષેત્રે ભ્રષ્ટાચાર હટાવવાના મોરબી ડીડીઓના આદેશનો ઉલાળીયો

- text


જિલ્લા વિકાસ આધિકારીના પરિપત્રને બબ્બે મહિના વીતવા છતાં શિક્ષણ શાખામાંથી શિક્ષકો ન હટાવાયા

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના પરીણામે શિક્ષણ શાખાઓમાં કામ કરતા શિક્ષકોને છુટા કરવા જિલ્લા વિકાસ અધિકારીએ પરિપત્ર થકી આદેશ કરવા છતાં આ આદેશને બે મહિના વીતવા છતાં પરિપત્રનો અમલ ન થતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના કારણે જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા તા. 20/3/2023ના રોજ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પરિપત્ર થકી શિક્ષણ શાખાઓમાં શિક્ષકોને બદલે રેગ્યુલર સ્ટાફને ફરજ સોંપવા આદેશ કર્યો હતો.

નોંધનીય છે કે, જો શિક્ષણ શાખામાં રેગ્યુલર ક્લાર્ક કામ કરતા હોય તો ત્રણ વર્ષે કલાર્કની બદલી થતી હોય જેના કારણે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવી શકે જ્યારે છેલ્લા દશ બાર વર્ષથી શિક્ષકો શિક્ષણના ભોગે તાલુકા જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કામગીરી કરી રહ્યા હોય, વર્ષોથી એક જ ટેબલ સંભાળતા હોય જેના કારણે વાંકાનેર શિક્ષણ શાખાઓમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે અને આ વાતને જિલ્લા વિકાસ અધિકારીએ પણ સ્વીકારી છે.

- text

બીજી તરફ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી શિક્ષણ શાખાઓમાં કામ કરતા શિક્ષકો પાસેથી લેવાતી કામગીરી બંધ કરી ક્લાર્કને કામગીરી સોંપવાનો આદેશ કર્યો એને બે માસ જેટલો સમય વ્યતી ગયો હોવા છતાં ટંકારા તાલુકા સિવાય એકપણ તાલુકામાં આ પત્રનો અમલ કરેલ નથી અને જિલ્લા વિકાસ અધિકારીના આદેશનો ઉલાળ્યો કર્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે લગત તાલુકા પંચાયતોની ભ્રષ્ટાચારને પોષતી નીતિ સામે સવાલો ઉઠવાની સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ આ મામલે કોઇ નક્કર પગલાં ન લેવાતા આશ્ચર્ય સર્જાયું છે.

- text