હળવદના અનેક ઘરોને મુખ્ય ગટર લાઈન સાથે જોડવામાં આવશે

- text


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યોજનાના કામોને સૈદ્ધાંતિ મંજૂરી

હળવદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ ૬૦ લાખ ર૧ હજાર ૯૧૪ ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેથી હળવદ શહેરના અનેક ઘરોને મુખ્ય ગટર લાઈન સાથે જોડવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે પ૬ કામો માટે ૧ કરોડ ૬૪ લાખ ૦૬ હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના ૯૭૧ જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે.

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાને પણ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે ૬૬ જેટલા કામો માટે ૧ કરોડ ૮૩ લાખ ૯૪ હજાર રૂપિયા ફાળવવા પણ અનુમોદન આપ્યું છે. આ કામોનો ભાવનગર મહાનગરમાં ર૯૩૭ પરિવારોને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્યની અન્ય બે નગરપાલિકાઓ કાલાવડ અને હળવદમાં કુલ ૪પ૧૮ ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે કુલ ર કરોડ ૧ર લાખ ૧૯ હજાર રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

- text

તદ્દઅનુસાર, કાલાવાડ નગરપાલિકા વિસ્તારના ૪ર૩૭ ઘર જોડાણો રૂ. ૧.૯૭ કરોડના ખર્ચે તેમજ હળવદ નગરપાલિકા વિસ્તારના ર૮૧ ઘર જોડાણો માટે રૂ. ૧૪.૮૭ લાખનો ખર્ચ થશે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોસાયટીઓના આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટલાઇટ અને ગટર જેવા કામો માટે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં થતા કુલ ખર્ચ પેટે ૭૦ ટકા રાજ્ય સરકારનો ફાળો તેમજ ૧૦ ટકા સ્થાનિક સંસ્થાનો તથા ર૦ ટકા ફાળો સંબંધિત સોસાયટી દ્વારા આપવામાં આવે છે.
જે ઘરો ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલા ન હોય તેવા ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવા માટે ઘર દીઠ ૭ હજાર રૂપિયાની મર્યાદામાં સહાય પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ર૦ર૪ સુધી લંબાવીને આ વર્ષના બજેટમાં યોજના માટે રૂ. ૮૦૮૬ કરોડની જોગવાઇ કરેલી છે.

- text