ઓરિસ્સાથી ત્રણ દિવસ પહેલા જ રોજી રોટી મેળવવા આવેલ શ્રમિકની હત્યા

- text


વાંકાનેરના જુના લૂણસરિયા નજીક બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા લેબર કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં ઓરિસ્સા રાજ્યમાંથી ત્રણ દિવસ પહેલા જ રોજી રોટી કમાવવા આવેલ યુવાન શ્રમિક લાપતા બન્યા બાદ વાંકાનેરના જુના લુણસરિયા રોડ ઉપરથી આ યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી નાખવામાં આવતા ભેદભરમ વાળા આ બનાવમાં લેબર કોન્ટ્રાકટર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં હત્યા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટંકારાના હીરાપર ગામે રહેતા લેબર કોન્ટ્રાકટર અરવિંદભાઈ ટીહાભાઈ લામકાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.10 મે ના રોજ ઓરિસ્સાના બોલેશ્વર જિલ્લાના ચિત્રકૂટ તાલુકાના નિલાગીરી અજોધિયા ગામનો કાર્તિકસિંગ રૂહ્યાસિંગ નામના શ્રમિક સહિતના ત્રણ શ્રમિકને કામ માટે બોલાવ્યા હતા અને વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બ્રાવટ સિરામિક ફેકટરીમાં કામે રાખ્યા હતા. જો કે, ત્રણ શ્રમિક પૈકી કાર્તિકસિંગ રૂહ્યાસિંગ લાપતા બનતા લેબર કોન્ટ્રાકટર અરવિંદ લામકા અને ઓરિસ્સાના જુના મજૂર દ્વારા આ યુવનની વ્યાપક શોધખોળ કરવા છતાં મળી ન આવતા અંતે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

- text

બીજી તરફ વાંકાનેરના જુના લુણસરિયા રોડ ઉપર બોથડ પદાર્થના આખા શરીરે ઘા ઝીકેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોય જેની લેબર કોન્ટ્રાકટરે ઓરિસ્સાથી મજૂર મોકલનાર વ્યક્તિ પાસે ખરાઈ કરતા આ મૃતદેહ કાર્તિકસિંગ રૂહ્યાસિંગનો જ હોવાનું બહાર આવતા લેબર કોન્ટ્રાકટર અરવિંદ લામકાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં શ્રમિક કાર્તિકસિંગ રૂહ્યાસિંગની હત્યા કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text