મોરબી જિલ્લામાં શિક્ષકોના સંશોધનમાં પણ લાગવગશાહી 

- text


ઈનોવેશન ફેરમાં એક ટંકારાની કૃતિઓની જ રાજયકક્ષા માટે પસંદગી થતા ઈનોવેટિવ ટીચર્સમાં રોષ

મોરબી : મોરબી જિલ્લામાં દરવર્ષે યોજાતા શિક્ષકો માટેના સંશોધન મેળા એટલે કે ઈનોવેશન ફેરમાં છેલ્લા વર્ષોમાં રાજકારણ અને લાગવગશાહી પ્રવેશી જતા ટીચર્સ આલમમાં રોષ ફેલાયો છે, એક એકથી ચડિયાતા સંશોધન કરનારા ટીચર્સની ગુણવતાના ધોરણે પસંદગી કરવાને બદલે એક માત્ર ટંકારા તાલુકાના શિક્ષકોની કૃતિઓની રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવતા શિક્ષકોમાં ચણભણાટ શરૂ થયો છે અને સમગ્ર મામલો મીડિયા સુધી પહોંચ્યો છે.

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- રાજકોટ દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે જેમાં શિક્ષકો દ્વારા શિક્ષણકાર્યમાં નવાચાર,નૂતન પદ્ધતિ અને પ્રયુક્તિઓને સતત બે દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવે છે, જિલ્લાની દરેક શાળામાંથી એક એક શિક્ષકો આ ઈનોવેશન ફેર નિહાળવા આવે છે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને જિલ્લાની તમામ શાળામાંથી આવેલ શિક્ષકો દ્વારા પણ મૂલ્યાંકન સીટ ભરવામાં આવે છે પણ જે તે તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોની કૃતિનું મૂલ્યાંકન અન્ય તાલુકાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

જો કે, આ વર્ષે ટંકારા આર્યમ વિદ્યાલય ખાતે યોજાયેલા ઈનોવેશન ફેરમાં મોરબી તાલુકામાંથી 15 કૃતિ, માળીયામાંથી 5, હળવદમાંથી 11, ટંકારામાંથી 13,વાંકાનેરમાંથી 7 કૃતિ આમ કુલ 51 જેટલી ઈનોવેટિવ કૃતિ રજૂ થઈ હતી જે પૈકી પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવાની હોય છે,ઈનોવેટિવ ટીચર્સ દ્વારા તમામ પાંચેય કૃતિઓ ટંકારા એક જ તાલુકાની પસંદ થયેલ છે,પસંદ થયેલ કૃતિઓ કરતા બીજી ઘણી બધી સારી કૃતિઓ હોવા છતાં ટંકારા એક જ તાલુકાની કૃતિ પસંદ થયેલ હોય મૂક્યાંકનકારો દ્વારા લાગવગ કરી એમના મળતીયાઓની જ કૃતિ પસંદ કરેલ હોવાના આક્ષેપ થયા છે.

- text

વધુમાં શિક્ષકો દ્વારા કરેલ મૂલ્યાંકન ધ્યાનમાં લીધા વગર જ મનફાવે તેમ કૃતિની પસંદગી કરેલ હોવાનું તેમજ ગયા વર્ષે પણ પાંચ કૃતિ પૈકી ત્રણ કૃતિ ટંકારા તાલુકાની પસંદ કરવામાં આવેલ હોવાનું નારાજ શિક્ષકો જણાવી રહ્યા છે. ઈનોવેશન ફેરમાં દર વર્ષે મોરબી જિલ્લાના અન્ય ચાર તાલુકાના શિક્ષકોને ભારોભાર અન્યાય કરવામાં આવતો હોવાનું તેમજ રાજ્ય અને જિલ્લા લેવલે એક જ તાલુકાના શિક્ષકો સારૂ કાર્ય કરે છે અન્ય તાલુકાના નથી કરતા એવું ચિત્ર ઉભું કરવામાં આવતા દિલથી કામ કરતા અને ઘણા દિવસની મહેનત પછી ઈનોવેશન તૈયાર કરનારા શિક્ષકોનું સાચું મૂલ્યાંકન ન થતું હોય ઈનોવેટિવ ટીચર્સમાં રોષ છે, આ મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય નહિ આપવામાં આવે તો આવતા વર્ષે ઈનોવેશન ફેરમાં ભાગ ન લેવાનું પણ શિક્ષકો દ્વારા મન બનાવી લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text