મોરબી સિરામિક એસો. દ્વારા 19મીએ પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે

- text


મોરબીના કાનાભાઈ અમૃતિયા, ટંકારાના દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના જીતુભાઈ સોમાણી, હળવદના પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના મેઘજીભાઈ ચાવડાનું ભવ્યાતિભવ્ય બહુમાન થશે

મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા તા.19ને ગુરુવારે પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે.જેમાં મોરબી નજીક શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબીના ધારાસભ્ય કાનાભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ભવ્યાતિભવ્ય સન્માન કરાશે.

- text

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાના ચારેય ભાજપના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે.જો કે મોરબી જિલ્લો સીરામીક સહિતના ઉધોગોને કારણે ઔદ્યોગિક રીતે સમૃદ્ધ છે. તેથી મોરબી ઉધોગ જગતના વિકાસ અને દરેક પ્રશ્ને સરકાર અને ધારાસભ્યો હકારાત્મક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહે છે. તેથી મોરબી સીરામીક એસોસિએશન અને મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા આગામી તા.19ને ગુરુવારે બપોરે 3-30 કલાકે શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે નવા ચૂંટાયેલા મોરબી સીટ પરના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જાણીતા ઉધોગકાર સવજીભાઈ ધોળકિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- text