- text
આરોગ્યમંત્રી દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને કોરોના સામેની સુરક્ષા માટે પ્રો-એક્ટિવ તૈયારીઓ કરવા સૂચના અપાઇ
મોરબી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પી.એચ.સી., સી.એચ.સી., સીવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેંકની વ્યવસ્થાઓ, દવાના પર્યાપ્ત જથ્થા સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી.
વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આરોગ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી.રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાત કોરોના સામે સુરક્ષિત છે.
હાલ રાજ્યમાં દરરોજ ૨ થી ૩ જેટલા કોરોના ના જૂજ કેસ જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય આરોગ્યતંત્ર કોરોના સામેની લડતમાં પ્રો-એક્ટિવ વલણ અપનાવતું આવ્યું છે. આજે પણ રાજ્યમાં દરરોજ ૮ થી ૧૦ હજાર જેટલા કોરોના ટેસ્ટ થાય છે. પ્રિ-કોશનના ભાગરૂપે આરોગ્ય અધિકારીઓ, હોસ્પિટલને સેન્સિટાઇઝ કરવા માટે આજરોજ બેઠક યોજવામાં આવી હતી.
- text
આરોગ્યતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યની સીવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને અન્ય તબીબી અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. આ તમામ અધિકારીઓને કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થાના અગમચેતીના પગલા લેવા માટે સેન્સિટાઇઝ કરવામાં આવ્યા હતા.
- text