આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાવવા સી -વીજીલ એપ સબળું માધ્યમ બની

- text


સી-વીજીલ એપ પર નાગરિકોએ કરેલી આચારસંહિતા ભંગની ૯ ફરિયાદોનું કરાયું ત્વરિત નિરાકરણ

મોરબી : મોરબી જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આદર્શ આચારસંહિતાનો અમલી હોવા છતાં જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી છે. હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વીજીલ એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી ૯ ફરિયાદોનો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાત્કાલિક જ નિકાલ કરાયો છે.

મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા મતવિસ્તારોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાના નેતૃત્વમાં તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર અત્યારે સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત સી-વીજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.

મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી-વીજીલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૯ જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ૫ ફરિયાદો ૬૫-મોરબી મતવિસ્તારમાં, ૩ ફરિયાદો ૬૬-ટંકારા મતવિસ્તારમાં અને ૧ ફરિયાદ ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ ૯ ફરિયાદો નોંધાઇ હતી જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- text

આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી-વીજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે, કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં, જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ ૧૦૦ મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના વિવિધ મતવિસ્તારમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી. આવી તમામ ફરિયાદોનો તાત્કાલીક નીવેડો લાવવામાં આવી રહ્યો છે.

- text