- text
વાંકાનેર: વર્ષ 2001થી કાર્યરત દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુસમાજ દવાશાળા) ખાતે કાન-નાક-ગળાના દર્દોના નિદાન, સારવાર તથા ઓપરેશન માટે રાહતદરની સુવિધાઓ પૂરી પાડતા નવા વિભાગનું દીપ પ્રાગટય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વિભાગમાં મોરબીના ડો. સુરભિ અંબાણી (ઇએનટી સર્જન-ગોલ્ડ મેડાલીસ્ટ) પોતાની સેવાઓનો લાભ દર્દીઓને આપશે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોરબીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિભાઇ ભાડેશીયા, વાંકાનેરના સિનિયર ડોકટર ડો. દાવરીયા, ડો. જે. એન. મહેતા, ડો. બાદી તથા ડો. કોઠારીના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2001થી રાહતભાવે ડેન્ટલ વિભાગ, ડીજીટલ એકસ-રે વિભાગ, કલીનીકલ લેબોરેટરી તથા ફિઝીયોથેરાપી વિભાગની સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત સુપર સ્પેશ્યાલિટી ધરાવતા વિઝીટીંગ ડોકટરોની સેવાઓ દર અઠવાડીયે વાંકાનેરના દર્દીઓને મળે છે. ડો. જયંતિભાઇ ભાડેશીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, રાજા રંતિદેવના આદર્શ મુજબ ડોકટરોએ ભૌતિક સુવિધાઓ, ધનસંપતિની વધુ પડતી કામનામાં રત રહેવાને બદલે મનુષ્યમાત્રની સેવા કરવાનો અમૂલ્ય વ્યવસાય એવી તબીબી સેવાને જીવનમંત્ર બનાવી જરૂરિયાતમંદ તમામ પીડિત દર્દીઓની સેવા કરવાના સંકલ્પ સાથે તબીબી ક્ષેત્રમાં કામ કરવું જોઇએ.
- text
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઇ મહેતા, ઉપપ્રમુખ અનંતભાઇ મહેતા અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાની યાદીમાં ખાસ જણાવ્યુ હતુ કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર અને આજુબાજુના ગામના લોકોને કાન-નાક-ગળાના દર્દોનું રાહત દરે નિદાન, સારવાર અને ઓપરેશનની સુવિધા આપવા માટે હંમેશા તત્પર છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વાંકાનેર નગર તથા તાલુકાના ડોકટરો અને બહારગામથી કિશોરભાઇ કોઠારી, અશોકભાઇ તથા રાજેશભાઇ ગાંધી અને અન્ય મહેમાનોએ પણ ખાસ હાજરી આપી હતી.
- text