- text
ખાનપરના માતા-પિતા, બે પુત્રી સહિત ચાર ઉપરાંત તેમના હરિપર કેરાળા તેમજ અમદાવાદના સબધીઓ મળીને કુલ 12 લોકોના મોતથી ભારે ગમગીની છવાઈ
મોરબી : મોરબીની કાળજું કંપવાનારી ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની ઘટનાએ મોરબીના ખાનપર ગામના પરિવારો માળો વિખી નાખ્યો છે. આ ખાનપર ગામના એક જ પરિવારમાં માતા-પિતા, બે પુત્રી ઉપરાંત મોરબીના હરિપર કેરાળા તેમજ અમદાવાદના સબધીઓ મળીને કુલ 12 લોકોના મોતથી ભારે ગમગીની છવાઈ ગઈ છે.
મોરબીની ઝૂલતાપૂલ તૂટવાની ઘટનાએ અનેક પરિવારની હસતી ખેલતી જિંદગીઓને મોતની આગોશમાં સમાવી લીધી છે. જેમાં મોરબીના ખાનપર ગામના પરિવારનો પણ ભોગ લેવાયો છે. ખાનપર ગામના હરેશભાઈ અને તેમનો પરિવાર તેમજ હરિપર કેરાળા ગામે અને અમદાવાદ રહેતા સબધીઓ મળીને 12 જેટલા લોકો ગઈકાલે ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે અચાનક પુલ તૂટી પડતા આ તમામ લોકો નીચે નદીમાં ખાબકયા હતા. જેમાં હરેશભાઇ તેમની પત્ની ધારાબેન અને બન્ને 19 વર્ષની અને 17 વર્ષની બે દીકરી તેમજ ધારાબેનની ખાનપર ગામમાં જ સાસરે રહેતી અને આઠ મહિના પહેલા લગ્ન કરનાએ બહેન એકતાબેન તેમજ બીજા હરિપર કેરાળા ગામે રહેતા બહેન સહિત ત્રણ લોકો અને અમદાવાદમાં રહેતા પણ તેમના બહેન મળીને ત્રણ લોકો અને ધારાબેન અન્ય દુર્ગાબેનની પુત્રી કુંજન રૈયાણી એમ મળી કુલ 12 લોકોના નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આવી રીતે 12 વ્યક્તિના મોતથી ત્રણ ચાર પરિવારનો માળો વિખાતા ભારે અરેરાટી મચી ગઇ હતી. આ હતભાગીઓનો વેકેશનમાં ઝૂલતાપૂલ ઉપર ફરવા જવાનો હરખ શોકમાં ફેરવાયો હતો.
- text
- text